શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! 5 દિવસમાં 16% ગાબડું, સરકારની કડકાઈ બાદ રોકાણકારોમાં હલચલ

December 08, 2025

ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટો રદ થવાનો સિલસિલો આજે સાતમાં દિવસે પણ યથાવત્ છે. રિપોર્ટ મુજબ, એરલાઈન્સે આજે વધુ 400 ફ્લાઈટો રદ કરી દીધી છે, જેના કારણે આજે પણ મુસાફરો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સંકટ એવું છે કે, ક્યાંક મુસાફરોની ફ્લાઈટો રદ થઈ રહી છે, તો કેટલીક ફ્લાઈટો વિલંબથી ચાલી રહી છે, જેના કારણે તેઓએ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. એટલું જ નહીં કંપની દ્વારા યોગ્ય સૂચના પણ આપવામાં આવી રહી નથી. આ તમામ ઘટના ક્રમ વચ્ચે ઈન્ડિગોને શેર બજારમાં પણ મોટો ઝટકો લાગ્યો છે.

આમ તો જ્યારથી ઈન્ડિગોનું સંકટ થયું છે, તેના પાંચ દિવસમાં તેનો સ્ટોક 16% સુધી ગગડી ગયો છે. પરંતુ આજે (8 ડિસેમ્બર) તેના સ્ટોકમાં મોટું ગાબડું પડ્યું છે. સવારે 9.15 કલાકે ચાર%ના ઘટાડા સાથે ઓપનિંગ થયેલા સ્ટોક લગભગ 9.40% સુધી ગગડી ગયો છે. આમ તેના સ્ટોકમાં સતત સાતમાં દિવસે પણ ઘટાડો નોંધાયો છે. જ્યારે સોમવારે માર્કેટ શરૂ થયું ત્યારે ઈન્ડિગોના સ્ટોક 4900 રૂપિયા સુધી નીચે આવી ગયા હતા. તેના સ્ટોકનો ભાવ એક મહિનામાં લગભગ 13% ઘટી ગયો છે. જ્યારે એક વર્ષમાં 8%ની તેજી જોવા મળી છે. છેલ્લા ટ્રેડિંગમાં (5 ડિસેમ્બર) માર્કેટ બંધ થયું ત્યારે તેના સ્ટોકની કિંમત 5371.30 હતી, જ્યારે આજે માર્કેટ બંધ થયું ત્યારે તેનો ભાવ 4906 નોંધાયો છે, એટલે કે તેના શેરની કિંમતમાં 465.30 રૂપિયા (8.66%)નો ઘટાડો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે પણ ઈન્ડિગોની 650 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી, જ્યારે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય સહિત કુલ 2300 ફ્લાઈટમાં 1650 ફ્લાઈટનું યોગ્ય સંચાલન થયું હતું. એરલાન્સે કહ્યું હતું કે, તેના 138માંથી 137 ડેસ્ટિનેશન પર ફ્લાઈટનું સંચાલન શરૂ થઈ ગયું છે. ગયા અઠવાડિયે 2000થી વધુ ફ્લાઈટે રદ થઈ ગઈ હતી, જેના કારણે મુસાફરો ભારે પરેશાન થવાની સાથે અનેક એરપોર્ટ પર હોબાળો પણ થયો હતો. એરલાઈન્સે ગઈકાલે એવું પણ કહ્યું હતું કે, તેણે પ્રવાસીઓને 610 કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવી દીધું છે, જ્યારે લગેજની 3000 બેગ પ્રવાસીઓના સરનામે મોકલી દીધી છે. એટલે કે હવે ઈન્ડિગોના સંચાલનમાં સુધારો થઈ રહ્યો છે.

વાસ્તવમાં ઈન્ડિગો એરલાઈન્સે ફ્લાઈટો રદ થવા પાછળ નવા ‘ફ્લાઈટ ટ્યૂટી ટાઈમ લિમિટેશન (FDTL)’ના નિયમોનું કારણ આપ્યું હતું. આ નિયમ હેઠળ પાયલોટ અને ક્રૂ મેમ્બરના ડ્યૂટી અને આરામ સમયમાં ફેરફાર કરાયો છે. રિપોર્ટ મુજબ ઈન્ડિગોએ રોસ્ટર મુજબ પાયલટને ડ્યૂટી આપી ન હતી. તેણે નાણાકીય વર્ષ 2025માં માત્ર 418 પાયલોટને સામેલ કર્યા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે, માત્ર નિયમોના કારણે ફ્લાઈટ રદ થઈ નથી, પરંતુ એરલાઈન્સે સમયસર નિમણૂકો પણ કરી નથી, જેના કારણે એરલાઈન્સની સ્થિતિ ખરાબ થઈ છે. બીજી તરફ ફ્લાઈટોનું સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવી શકાય તે માટે ઈન્ડિગોએ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રૂપ બનાવ્યું છે.