Breaking News :

9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી

March 09, 2026

ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના વધતા તણાવની સીધી અસર ભારતીય શેરબજારના રોકાણકારોના ખિસ્સા પર પડી છે. બજારમાં આવેલા પ્રચંડ કડાકાને કારણે માત્ર એક જ મહિનામાં અને ખાસ કરીને આજના દિવસે રોકાણકારોએ પોતાની જીવનભરની મૂડી ગુમાવવાનો વારો આવ્યો છે.

માર્ચ મહિનાની શરૂઆતથી જ બજારમાં વેચવાલીનો જે માહોલ જોવા મળ્યો છે, તેના આંકડા અત્યંત ડરામણા છે. 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય શેરબજારનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન (Market Cap) 497લાખ કરોડ હતું. આજના સેન્સેક્સ અને નિફ્ટીના પ્રચંડ કડાકાને પગલે તે ઘટીને 437 લાખ કરોડ પર આવી ગયું છે. આમ, છેલ્લા ગણતરીના દિવસોમાં જ બજારમાંથી 60 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ થઈ ગયું છે.

ગયા સપ્તાહના અંતે શુક્રવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે માર્કેટ કેપ 447 લાખ કરોડ હતું. પરંતુ આજે સોમવારે બજાર ખુલતાની સાથે જ યુદ્ધના ભયે રોકાણકારોને ધ્રુજાવી દીધા હતા. આજે માર્કેટ કેપ સીધું જ 437 લાખ કરોડ પર સરકી ગયું છે. એટલે કે, માત્ર આજના એક જ ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયા બજારમાં ડૂબી ગયા છે.

સેન્સેક્સમાં 2,271.52 પોઈન્ટ અને નિફ્ટીમાં 687.45 પોઈન્ટના ઘટાડાને કારણે બજારમાં ચારેબાજુ લાલ નિશાન જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રિલાયન્સ, ટીસીએસ અને એચડીએફસી જેવી બ્લુ-ચિપ કંપનીઓના શેરમાં મોટા ઘટાડાને કારણે માર્કેટ કેપમાં આટલો મોટો ખાડો પડ્યો છે. નિષ્ણાતો માને છે કે જો વૈશ્વિક તણાવ ઓછો નહીં થાય, તો આગામી દિવસોમાં રોકાણકારોએ હજુ વધુ નુકસાન વેઠવું પડી શકે છે.