'તાત્કાલિક ઈરાન છોડી દો..', તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી, ફરી યુદ્ધના સંકેત?

April 23, 2026

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ બાદ તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે આજે ગુરુવારે (23 એપ્રિલ 2026) એક નવી અને કડક ટ્રાવેલ એડવાઈઝરી  જાહેર કરી છે. દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાનની યાત્રા ન કરવાની ચેતવણી આપી છે અને ત્યાં હાજર ભારતીયોને સુરક્ષિત બહાર નીકળવાનો નિર્દેશ આપ્યો છે.

ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી

તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે એડવાઈઝરીમાં જણાવ્યું છે કે, 'ભારતીય નાગરિકો હવાઈ અથવા જમીની માર્ગે ઈરાનની યાત્રા ન કરે. ઈરાનની યાત્રા કરવી સુરક્ષાની દૃષ્ટિએ જોખમી હોઈ શકે છે.' પ્રાદેશિક તણાવને કારણે હવાઈ ક્ષેત્ર પર નિયંત્રણો લાગેલા છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના સંચાલનને લઈને અનેક પડકારો ઉભા થયા છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, 'જે ભારતીય નાગરિકો હાલમાં ઈરાનમાં છે, તેઓ તાત્કાલિક દેશ છોડી દે. નાગરિકો દૂતાવાસના સંપર્કમાં રહે.'

સ્થિતિની ગંભીરતાને જોતા ભારતીય દૂતાવાસે તમામ નાગરિકોને અત્યંત સાવધાની રાખવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. આ માટે દૂતાવાસે સંપર્ક નંબર પણ જારી કર્યા છે:

મોબાઈલ નંબર: +989128109115; +989128109109, +989128109102; +989932179359

ઈમેલ: cons.tehran@mea.gov.in

ભારતીય દૂતાવાસે આ એડવાઈઝરી એવા સમયે જારી કરી છે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા સુરક્ષા જોખમને લઈને અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કડક આદેશ જાહેર કર્યો છે. ટ્રમ્પે અમેરિકન નૌસેનાને શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ ઈરાની બોટને તાત્કાલિક નષ્ટ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ તેમણે માઈન-સ્વીપિંગ (દરિયાઈ સુરંગ હટાવવા)ના અભિયાનને વધુ તેજ કરવા જણાવ્યું છે.