વલસાડમાં મેઘતાંડવ: ઔરંગા અને સ્વર્ગવાહિની નદીઓ ઓવરફ્લો; 12,754 લોકોનું સ્થળાંતર, 352 નાગરિકોનું રેસ્ક્યૂ

July 23, 2026

વલસાડ જિલ્લામાં પવનના સુસવાટા સાથે પડી રહેલા મુશળધાર વરસાદને પગલે દિવસભર ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે સર્જાયેલી આ કટોકટી વચ્ચે વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા રાહત કામગીરી હાથ ધરાઈ છે. જેમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા અંદાજે 12,754 લોકોને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરી શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના રહેવા અને જમવા સહિતની તમામ સુવિધાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી.
વલસાડની ઔરંગા નદી અને ધરમપુરની સ્વર્ગવાહિની નદી ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા હતા. આ ઉપરાંત વલસાડ શહેરનું હાલરનું તળાવ પણ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા પાણીના નિકાલની કાર્યવાહી કરવામાં આવી હતી.

પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા વિવિધ તાલુકાઓમાં પાણી વચ્ચે ફસાયેલા 352 લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ કપરી સ્થિતિમાં સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ પણ મદદે આવી હતી, જેમની તરફથી 300 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે 6 જેટલા મોટા વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહાર અવરોધાયો હતો, જેને વન વિભાગની ટીમે તાત્કાલિક ટ્રી કટિંગ હાથ ધરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. કુદરતી આફતમાં ગુરુવારે(23 જુલાઈ) 18 પશુઓના મોત નીપજ્યા છે. આ સિવાય 27 કાચા મકાન, 11 પાકા મકાન અને 1 કેટલ શેડને નુકસાન પહોંચ્યું છે.