નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

February 05, 2026

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનના એક વર્ષ બાદ નવી સરકાર રચાયાના બીજા જ દિવસે બબાલ શરૂ થઈ ચૂકી છે. આજે 5 ફેબ્રુઆરીના રોજ કુકી આદિવાસી વિસ્તારના ચુરાચંદપુર જિલ્લામાં વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. કુકી સમાજ તરફથી બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારી અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે કડક હાથે કામ લીધું હતું. જે બાદ પ્રદર્શનકારીઓએ પથ્થરમારો અને આગચંપી કરી હતી. 

આ પહેલા કુકી સંગઠનોએ પોતાના સમાજના ધારાસભ્યોને ચેતવણી આપી હતી કે સરકાર ગઠનની પ્રક્રિયાના ભાગ ન લે, નવા મુખ્યમંત્રી તરીકે યુમનામ ખેમચંદ સિંહએ શપથ લેતા જ ચુરાચંદપુર જિલ્લાના આદિવાસી સંગઠન જોઈન્ટ ફોરમ ઓફ સેવન દ્વારા શુક્રવારે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી કુકી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં સંપૂર્ણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સંઠનોએ ફરી અલગ કુકી વહીવટની માગ મૂકી હતી.