બેંગલુરુ નાસભાગ કેસમાં કર્ણાટક ક્રિકેટ એસો.ને રાહત, હાઈકોર્ટે દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી

June 06, 2025

બેંગલુરુ - કર્ણાટક હાઈકોર્ટે રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિક્ટ્રી પરેડ દરમિયાન બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી નાસભાગ મામલે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે રાજ્યના ક્રિકેટ એસોસિએશન (KSCA) અધિકારીઓ વિરુદ્ધના દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી છે. કોર્ટે પોલીસને નિર્દેશ આપ્યો છે કે, ‘નાસભાગના કેસમાં નોંધાયેલી એફઆઈઆરના આધારે કેએસસીએ વિરુદ્ધ કોઈપણ દંડાત્મક કાર્યવાહી ન થવી જોઈએ. જોકે કોર્ટે એસોસિએશનને તપાસમાં સહયોગ આપવાનો તેમજ મંજૂરી વગર કોર્ટના અધિકાર ક્ષેત્રથી બહાર ન જવાનો નિર્દેશ આપ્યો છે.


સંઘે કોર્ટમાં કહ્યું કે, પોલીસે ભાગદોડની ઘટના પર અકુદરતી મૃત્યુ અહેવાલ (યુડીઆર) નોંધીને તપાસ શરૂ કરી હોવાથી FIR દાખલ કરવી ગેરકાયદેસર છે. જ્યારે સરકારે પોતે ભાગદોડને અણધાર્યો અકસ્માત ગણાવ્યું હતો, ત્યારે સમિતિ સામે FIR નોંધવી એ પોલીસ તરફથી ન્યાયની ગંભીર નિષ્ફળતા છે. જ્યારે પોલીસ અધિકારીઓના સસ્પેન્શનનો આદેશ પોલીસ વિભાગની નિષ્ફળતા સ્પષ્ટપણે દર્શાવે છે, ત્યારે પોલીસ તેમને હેરાન કરી શકતી નથી.
વાસ્તવમાં નાસભાગની ઘટના બાદ અનેક લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ (KSCA)ની વહિવટી સમિતિનું નામ આવતા સમિતિએ હાઈકોર્ટમાં અરજી કરી એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી. અરજીમાં કહેવાયું છે કે, ‘નાસભાગની ઘટનાના કેસમાં પહેલેથી જ યુડીઆર દાખલ કરાઈ છે અને હવે આયોજકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે, જે ગેરકાયદે છે, કારણ કે એક જ કેસમાં બે પ્રકારની તપાસ કરવી પડશે. હાઈકોર્ટે આ મામલે સુઓ મોટો અરજી નોંધી લીધી છે અને તેની સુનાવણી કરી રહી છે. આ દરમિયાન બીજી એફઆઈઆર નોંધવા અને તપાસ કરવાનો કોઈ અવકાશ નથી.