સિસોદિયાની જામીન અરજી કોર્ટે ફગાવી, કહ્યું- 'આરોપી પ્રભાવશાળી, પૂરાવા સાથે છેડછાડની આશંકા'

May 21, 2024

દિલ્હી : દિલ્હી લિકર પૉલિસી મામલે મંગળવારે (21 મે) દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે અરજી પર સુનાવણી કરતા 14 મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. હવે તેના પર ચુકાદો સંભળાવ્યો છે. પહેલા નિચલી કોર્ટે તેમની કસ્ટડી વધારી દીધી અને હવે દિલ્હી હાઈકોર્ટથી પણ મનીષ સિસોદિયાને જામીન ન મળ્યા. દિલ્હી હાઈકોર્ટ દ્વારા કહેવાયું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશથી ટ્રાયલ કોર્ટના અધિકાર પર અસર નથી કરતું. તેને મેરિટના આધારે જ નિર્ણય લેવાનો હતો. માત્ર ટ્રાયલમાં વિલંબ જામીનનો આધાર ન બની શકે.

જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટે કહ્યું કે, મનીષ સિસોદિયાએ પોતાની શક્તિનો દુરૂપયોગ કર્યો અને એક્સાઇઝ પૉલિસી તૈયાર કરવામાં જનતાનો વિશ્વાસ તોડ્યો. સિસોદિયા ખુબ પ્રભાવશાળી છે અને જમીન મળવા પર પૂરાવા સાથે છેડછાડ થઈ શકે છે. જામીન પર મુક્ત થવા પર સિસોદિયા દ્વારા પૂરાવા સાથે છેડછાડની સંભાવનાને નજરઅંદાજ ન કરી શકાય, સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતાઓ પણ છે. સિસોદિયા નાયબ મુખ્યમંત્રી હતા, તેમની પાસે 18 વિભાગ હતા, તેનાથી ખબર પડે છે કે તેઓ પ્રભાવશાલી અને પાર્ટીના પાવર સેન્ટર હતા.
હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, તેઓ AAPના વરિષ્ઠ નેતા છે, તેઓ દિલ્હી સરકારમાં પ્રભાવશાલી છે. દસ્તાવેજોના ઉપલબ્ધ કરાવવામાં વકીલ પક્ષ દ્વારા કોઈ મોડું નહીં, ટ્રાયલ કોર્ટ દ્વારા કોઈ મોડું નથી કરાયું. ED-CBIમાં કોઈ ભૂલ નથી મળી શકી કારણ કે તેમની પાસે મહત્વના પૂરાવા છે. સિસોદિયાએ નીતિ પર સામાન્ય નાગરિકોના વિચારોને સામલ કરવાના બદલે 'એક યોજના બનાવી'. આ મામલે ભ્રષ્ટાચાર સિસોદિયાની એક એવી નીતિ બનાવવાની ઈચ્છાથી ઉત્પન્ન થયું જેનાથી કેટલાક વ્યક્તિઓને લાભ થશે અને લાંચ મળશે.

કોર્ટે કહ્યું કે, સિસોદિયાએ વિશેષજ્ઞ સમિતિના રિપોર્ટથી ભટકાવીને નકલી જનમત તૈયાર કરવાની યોજના બનાવી. નકલી ઈમેઈલ મંગાવાયા અને જનતાને ભ્રમિત કરાઈ. તેમણે ત્રિપલ ટેસ્ટ અને બેવડી શરતોથી પસાર થવું પડ્યું. આ એક સ્વીકૃત તથ્ય છે કે સિસોદિયા પોતાના દ્વારા ઉપયોગ કરાયેલા બે ફોન રજૂ કરવામાં નિષ્ફળ રહ્યાં.