મહારાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ નેતાના હેલિકોપ્ટરમાં આવી ટેક્નિકલ ખામી, જાણો પછી શું થયું

February 03, 2026

રાજ્ય મંત્રી અને ભાજપના નેતા પંકજા મુંડેની લાતુર યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. મળતી માહિતી અનુસાર છત્રપતિ સંભાજીનગરથી લાતુર માટે ઉડાન ભરતા પહેલા જ પંકજા મુંડેના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જોકે, ઉડાન પહેલા જ ખામીની જાણ થઈ જતાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે, પરંતુ તેના કારણે તેમની નિર્ધારિત બેઠકોના કાર્યક્રમો ખોરંભે ચડ્યાં છે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી પંકજા મુંડેના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી આવી છે. પંકજા મુંડે જ્યારે લાતુર જઈ રહ્યા હતા ત્યારે તેમનું હેલિકોપ્ટર ઉડાન ભરવાની તૈયારીમાં જ હતું. છત્રપતિ સંભાજીનગરથી ટેક-ઓફ કરતા પહેલા જ ખામી પકડાતા પ્રવાસ કાર્યક્રમ સ્થગિત કરવો પડ્યો હતો. હવે પંકજા મુંડે બીજા હેલિકોપ્ટર દ્વારા મીટિંગમાં સામેલ થશે. ઉડાન પહેલા જ ખામીની ખબર પડી જવાથી મોટી હોનારત ટળી હતી. પંકજા મુંડે હાલમાં જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર માટે સઘન પ્રવાસે છે. આજે એટલે કે મંગળવારે તેમને લાતુરમાં પ્રચાર માટે જવાનું હતું. છત્રપતિ સંભાજીનગરથી ઉડાન ભરવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે પાયલટે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી હોવાનું નોંધ્યું હતું. સાવચેતીના ભાગરૂપે ઉડાન તાત્કાલિક રદ કરવામાં આવી અને ટેકનિકલ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.  આ ટેકનિકલ ખામીને કારણે લાતુરમાં પંકજા મુંડેની જાહેર સભાઓનો સમય લંબાવવામાં આવ્યો છે. લાતુરમાં જ્યારે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા ત્યારે આ સમાચાર મળતા થોડા સમય માટે ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. જોકે, પંકજા મુંડે સુરક્ષિત છે અને તેમણે કાર્યકરોને ધીરજ રાખવા અપીલ કરી છે. સમય બચાવવા અને નિર્ધારિત બેઠકો સમયસર પૂર્ણ કરવા માટે તાત્કાલિક અન્ય એક હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. પંકજા મુંડેના નજીકના સહયોગીઓએ માહિતી આપી છે કે તેઓ હવે બીજા હેલિકોપ્ટરથી લાતુર જવા રવાના થશે અને તમામ કાર્યક્રમોમાં હાજરી આપશે. જિલ્લા પંચાયત ચૂંટણી અભિયાન દરમિયાન પંકજા મુંડેની રેલીઓમાં ભારે ભીડ જોવા મળી રહી છે, અને આ ટેકનિકલ ખામી છતાં તેઓ પોતાનો પ્રવાસ ચાલુ રાખવા મક્કમ છે. નોંધનીય છે કે, આ ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા દિવસો પહેલા જ એક પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું નિધન થયું હતું.