ફૂડ પોઇઝિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શનમાં, 330 હોટલમાં દરોડા, 1641 કિલો વાસી ખોરાકનો નાશ, 17 એકમો સીલ

August 19, 2026

સુરતની પ્રખ્યાત શીતલ રેસ્ટોરન્ટમાં બનેલી ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના બાદ મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગ સક્રિય થઈ ગયું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે લાલ આંખ કરીને ટીમોએ સમગ્ર શહેરના 9 ઝોનમાં દરોડા પાડીને સઘન ચેકિંગ હાથ ધર્યું છે.

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરની કુલ 330 હોટલ અને રેસ્ટોરન્ટમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન અસ્વચ્છ અને વાસી મળી આવેલો 1,641.7 કિલો નાશવંત ખાદ્ય પદાર્થ જપ્ત કરીને સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવા બદલ 17 એકમોને તાત્કાલિક અસરથી બંધ એટલે કે સીલ કરવામાં આવ્યા છે, જ્યારે નિયમોની અવગણના કરનારા વેપારીઓ પાસેથી કુલ 4,17,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત કિચનમાં અસ્વચ્છતા અને ખામીઓ બદલ 208 એકમોને સુધારા નોટિસ ફટકારવામાં આવી છે.

તપાસ ટીમો દ્વારા કિચન એરિયાની સફાઈ, વાસી કે એક્સપાયરી ખોરાકનો સંગ્રહ, ફૂડ હેન્ડલર્સના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તેમજ પાણીની શુદ્ધતા ચકાસવામાં આવી હતી. આ ઉપરાંત પનીર, ચીઝ, બટર અને છાશ જેવા ડેરી ઉત્પાદનોની ગુણવત્તા અને લેબલિંગનું પણ ચેકિંગ કરાયું હતું.

મહાનગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નોટિસના જવાબ બાદ પુનઃ ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને જો નિયમોનું પાલન નહીં થાય તો લાયસન્સ રદ કરવા સુધીના કડક પગલાં ભરવામાં આવશે.