સિંગર કિંજલ રબારીએ પોલીસ કમિશ્નરને પત્ર લખી કહ્યું ‘મારું અપહરણ થયું નથી’, પરિવાર પર ગોંધી રાખવાનો આરોપ લગાવ્યો

September 08, 2026

જાણીતી ગાયિકા કિંજલ રબારીએ ફરી એકવાર મોટો ધડાકો કરતા અમદાવાદના પોલીસ કમિશ્નર અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને એક લેખિત પત્ર પાઠવ્યો છે. અગાઉ વીડિયો બનાવીને સ્પષ્ટતા કરી હોવા છતાં પોલીસ ફરિયાદ નોંધાતા તેણે લેખિતમાં રજૂઆત કરી છે કે તેનું કોઈ અપહરણ થયું નથી. તેણે પત્રમાં ચોંકાવનારો દાવો કર્યો છે કે, તેના પરિવારજનોએ બળજબરીપૂર્વક રાધનપુર કોર્ટમાં અશોક ચૌધરી સાથેના છૂટાછેડા માટેનો જવાબ લખાવ્યો હતો.

પત્રમાં જણાવેલી વિગતો અનુસાર, 25 વર્ષીય કિંજલે B.Sc. MLTનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ અર્થે રાધનપુર અપડાઉન કરતી વખતે તેની મુલાકાત અશોક ચૌધરી સાથે થઈ હતી. આ પરિચય પ્રેમમાં પરિણમ્યા બાદ બંનેએ 2 મે, 2024ના રોજ હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા અને ત્યારબાદ તેઓ પતિ-પત્ની તરીકે સાથે જ રહેતા હતા.

કિંજલના કહેવા પ્રમાણે, તેણે પોતાના પરિવારને આ લગ્ન સ્વીકારી લેવા ઘણી વિનંતીઓ કરી હતી, પરંતુ તેઓ માન્યા ન હતા. આખરે 10 માર્ચ, 2026ના રોજ તેણે પિતાનું ઘર છોડી દીધું હતું અને અશોક સાથે રહેવા જતી રહી હતી. જોકે, ત્યારબાદ પિયર પક્ષના લોકો તેને બળજબરીથી અશોકથી અલગ કરીને પોતાના ઘરે લઈ ગયા હતા.

સિંગરે પોતાના જ પરિવાર પર આક્ષેપ કરતા લખ્યું છે કે, તેને ઘરમાં ગોંધી રાખવામાં આવી હતી અને તેનો મોબાઈલ ફોન પણ છીનવી લેવાયો હતો. ઘરની બહાર નીકળવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો. આ જ સમયગાળા દરમિયાન તેના પરિવારે ભારે દબાણ કરીને રાધનપુર કોર્ટમાં છૂટાછેડાની અરજી કરાવી હતી, જ્યારે ખરેખર કિંજલ અશોકથી છૂટાછેડા લેવા જ માંગતી ન હતી.