આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસે, રોહિત શર્મા જ રહેશે કેપ્ટન, 35 ખેલાડીઓ શોર્ટ લિસ્ટ

April 30, 2025

આઈપીએલ-2025ની 18મી સીઝન પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડ પ્રવાસે જવાની છે. જેમાં ખેલાડીઓની પસંદગી પર ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. રોહિત શર્મા જ ટીમનો કેપ્ટન રહેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ મેચ માટે કુલ 25 ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હોવાનું મીડિયા સુત્રોએ જણાવ્યું છે. મીડિયા સુત્રો અનુસાર, ટીમની પસંદગી મે મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં થશે. સાઈ સુદર્શનને બેકઅપ ખેલાડી તરીકે, જ્યારે રજત પાટીદાર અને કરુણ નાયરને નંબર 5 અને 6 પર રમાડવા વિચારણા થઈ  રહી છે. કુલદીપ યાદવની વાપસીની શક્યતા છે, જે ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે. રિપોર્ટમાં દાવો થઈ રહ્યો છે કે, BCCIએ ઈંગ્લેન્ડ પ્રવાસની ગોઠવણ શરૂ કરી દીધી છે. સિલેક્ટર્સ મે મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં ખેલાડીઓની પસંદગી કરે તેવી અપેક્ષા છે. ખેલાડી પસંદ કરતી વખતે સૌથી મોટી ચિંતા એ છે કે નંબર 5 કે 6 પર મધ્યમ ક્રમના ટેસ્ટ બેટ્સમેનને શોધવો. એવું માનવામાં આવે છે કે  સિલેક્ટર્સ આ ખાલી જગ્યા ભરવા માટે રજત પાટીદાર અને કરુણ નાયર પર નજર રાખી રહ્યા છે. આ બંનેને ભારત 'એ' શ્રેણીમાં અજમાવી શકે છે, જે 25 મેના રોજ IPL સમાપ્ત થયાના એક અઠવાડિયામાં શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, શ્રેયસ ઐયર અને અક્ષર પટેલને હજુ સુધી આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી. બીસીસીઆઈના એક સૂત્રે જણાવ્યું હતું કે, 'રોહિત શર્મા કેપ્ટન બને તેવી શક્યતા સૌથી વધુ છે કારણ કે બોર્ડને લાગે છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસની જેમ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પણ એક મજબૂત કેપ્ટનની જરૂર પડશે. મિડલ ઓર્ડરની વાત કરીએ તો, ટીમ મેનેજમેન્ટે સરફરાઝ ખાન પર વિશ્વાસ દર્શાવ્યો નથી. નાયર અને પાટીદાર બંને રેડ-બોલના અનુભવી ખેલાડીઓ છે અને સારા ફોર્મમાં છે, તેથી એવી અપેક્ષા છે કે તેમાંથી કોઈ એકને 'એ' ટીમમાં સ્થાન મળી શકે છે. ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ પ્રદર્શનને કારણે ઐયરને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. અંતિમ નિર્ણય હજુ લેવાનો બાકી છે. આ સીરીઝ માટે સાઈ સુદર્શનને ત્રીજા ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉતારી શકે છે.