ટીમ ઈન્ડિયાના નવા 'રોહિત-વિરાટ'! ઓપનિંગમાં આ 2 ધૂરંધરમાંથી એક પણ જામી જશે તો રનનો ખડકલો સર્જાશે

July 10, 2024

ભારતીય ટીમે ગત મહિને એટલે કે જૂનમાં રમાયેલ T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે એક મોટું એક્સપેરિમેન્ટ કર્યું હતું. આખી ટૂર્નામેન્ટમાં કેપ્ટન રોહિત શર્મા સાથે વિરાટ કોહલીને ઓપનિંગ માટે મોકલવામાં આવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાયેલા આ T20 વર્લ્ડ કપમાં રોહિત અને કોહલીએ ઓપનિંગમાં મોરચો સંભાળ્યો હતો. પરંતુ ખિતાબ જીત્યા બાદ જ્યાં એક તરફ ચાહકો જશ્ન મનાવી રહ્યા હતા તો બીજી તરફ કોહલી અને રોહિતે એક પછી એક T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસનું એલાન કરીને પોતાના ચાહકોને નિરાશ કરી દીધા છે.
તેનું કારણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર અભિષેકની એ સદીની ઈનિંગ્સ છે જેણે દિગ્ગજોને પણ કાયલ કરી દીધા છે. અભિષેક પોતાની ડેબ્યૂ T20માં 4 બોલ પર ખાતું પણ નહોતો ખોલાવી શક્યો. પરંતુ ઝિમ્બાબ્વે સામે સિરીઝની બીજી T20 મેચમાં તે 47 બોલ પર 100 રનની ઈનિંગ રમ્યો હતો. આ મેચમાં અભિષેક એક સમયે 30 બોલમાં 41 રન બનાવીને રમી રહ્યો હતો. પરંતુ તેણે આગલા 16 બોલમાં 59 રન બનાવીને પોતાની સદી પૂરી કરી હતી. જોકે પછીના બોલ પર તેણે પોતાની વિકેટ ગુમાવી હતી. અભિષેકે સતત 3 છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. આ ઈનિંગ્સના દમ પર તેણે ઓપનિંગ માટે મજબૂત દાવેદારી નોંધાવી છે. આ સાથે જ તેણે એ પણ કહ્યું કે તે ઓપનિંગમાં વિસ્ફોટક ઈનિંગ્સ રમીને કોઈપણ બોલિંગ લાઈનઅપને વેર-વિખેર કરવા માટે તૈયાર છે.
જો અભિષેકની સાથે બીજો ઓપનર યશસ્વી હશે તો મેચમાં રનનો ખડકલો સર્જાશે. યશસ્વીની ટી-20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી હતી પરંતુ તેને પ્લેઈંગ-11માં સ્થાન નહોતું મળ્યું. હવે તે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ત્રીજી મેચથી ટીમ સાથે જોડાશે. પરંતુ યશસ્વીએ IPLમાં ખુદને સાબિત કર્યો છે. રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમતા યશસ્વી છેલ્લી એટલે કે 2024 IPL સિઝનમાં 16 મેચ રમ્યો હતો જેમાં તેણે 31.07ની એવરેજથી ઓપનિંગ કરતી વખતે 435 રન બનાવ્યા હતા. આ દરમિયાન યશસ્વીએ 1 સદી અને 1 અડધી સદી પણ ફટકારી હતી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 104 રન રહ્યો હતો.