સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37એ પહોંચી

May 17, 2026

દિલ્હી : દેશની સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ કેસોનો બોજ હળવો કરવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની માન્ય સંખ્યા 33 થી વધારીને 37 કરી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સરકાર દ્વારા આ અંગેનો નવો વટહુકમ (અધ્યાદેશ) બહાર પાડવામાં આવ્યો છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મહત્વપૂર્ણ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે માહિતી આપી હતી કે, રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વટહુકમ, 2026' ને પોતાની લીલી ઝંડી આપી દીધી છે. આ નવા પગલા અંતર્ગત વર્ષ 1956ના મૂળ કાયદામાં જરૂરી સુધારો કરવામાં આવ્યો છે.


આ નવા સુધારા બાદ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોનું માળખું બદલાશે. જેના અનુસાર મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત માન્ય જજોની સંખ્યા 33 થી વધીને 37 થઈ જશે. જજોની આ વધેલી સંખ્યામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) નો સમાવેશ થતો નથી. એટલે કે મુખ્ય ન્યાયાધીશને ગણતરીમાં લેતા, સુપ્રીમ કોર્ટમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા હવે વધીને 38 થશે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ન્યાયિક પ્રણાલીમાં મોટા સકારાત્મક બદલાવ આવવાની આશા છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં વર્ષોથી પેન્ડિંગ પડેલા હજારો મુકદ્દમાઓનો બોજ ઓછો કરવામાં મદદ મળશે. જજોની સંખ્યા વધવાને કારણે કેસોની સુનાવણી અને તેના નિકાલ (Case Disposal) ની પ્રક્રિયા વેગ પકડશે. આ ન્યાયિક સુધારાથી દેશના સામાન્ય નાગરિકોને સમયસર અને ઝડપી ન્યાય મળી શકશે.