'અમેરિકા સાથે ટ્રેડ ડીલથી સારું વાતાવરણ બન્યું', NDA સાંસદોને સંબોધતા બોલ્યા PM મોદી

February 03, 2026

ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ટેરિફ સોદાને લઈને સંસદ પરિસરમાં NDA સાંસદો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, લોકો ટીકા કરી રહ્યા હતા પરંતુ આપણે ધીરજ રાખી અને તેનું સકારાત્મક પરિણામ આવ્યું છે. પીએમ મોદીએ NDA સંસદીય દળની બેઠકમાં કહ્યું કે, તમામ સાંસદો સદનમાં હાજર રહે, ચર્ચામાં ભાગ લે તે જરૂરી છે. બજેટની ઉપલબ્ધિઓ અંગે જનતા વચ્ચે જાઓ અને તેમને જણાવો. પીએમ મોદીએ કહ્યું કે, અમેરિકા સાથે ટ્રેડ ડીલ થતા વાતાવરણ સારુ બન્યું છે. હવે મેન્યૂફેક્ચરિંગ વધે તથા ક્વોલિટી પ્રોડક્ટ બને તેવા પ્રયાસો શરૂ કરવા જોઇએ.  કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું હતું કે, મોદીના નેતૃત્વમાં ભારતે યુરોપિયન યુનિયન, યુએઈ, મોરિશિયસ, ઓસ્ટ્રેલિયા, યુકે, ન્યુઝીલેન્ડ અને અમેરિકા જેવા દેશો સાથે વેપાર કરાર કર્યા છે. આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી; વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે તેનું જ આ પરિણામ છે. માત્ર એક અઠવાડિયા પહેલા જ ભારત-યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા અને હવે અમેરિકા સાથે પણ કરાર થયા છે. જેમાં ટેરિફમાં ઘટાડની જાહેરાતનો પણ સમાવેશ થાય છે. જેના કારણે સાંસદોમાં ભારે ઉત્સાહ હતો.  પીએમ મોદીએ કહ્યું કે, મેં કહ્યું હતું કે વર્લ્ડ ઓર્ડર બદલાઈ રહ્યો છે. કોવિડ પછી તે દેખાઈ રહ્યો છે અને આજે વર્લ્ડ ઓર્ડર ભારતની તરફેણમાં વળી રહ્યો છે. પીએમએ કેરળના રાજ્યસભા સાંસદ સદાનંદ માસ્ટરનો ઉલ્લેખ કર્યો કે, આ એક કાર્યકર્તાનું બલિદાન છે કે તેમનો પગ કાપી નાખવામાં આવ્યો. ઉપરાંત PM એ જણાવ્યું કે, આ બજેટ આગામી પચીસ વર્ષને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, આ વિશે સાંસદો જાય અને જનતાને જણાવે. પીએમએ રાજકીય પરિસ્થિતિઓનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, દેશભરમાં ઘણા એવા નાના-નાના પક્ષો છે જેઓ આપણી સાથે આવી રહ્યા છે. આ સંખ્યા પચાસ ટકાથી પણ વધુ છે. આ દર્શાવે છે કે, આપણી રાજકીય વિચારધારાની દેશ અને વિદેશમાં કેટલી સ્વીકૃતિ છે. પીએમએ કહ્યું કે, એક મોટી ટ્રેડ ડીલ થઈ છે. આ આપણી કૂટનીતિની એક મોટી જીત છે, અને તે દર્શાવે છે કે ધીરજનું ફળ હંમેશા મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પની લીડરશીપના પણ વખાણ કર્યાહતા. PM એ કહ્યું કે, આ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને ખુશહાલી માટે જરૂરી છે અને આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવી રાખવાના પ્રયાસો માટે ભારતના સમર્થનને દોહરાવ્યું. પોતાની તરફથી, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ભારતીય સામાન પરના પોતાના પરસ્પર ટેરિફ દરોને તાત્કાલિક 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેશે અને આ પગલાને પીએમ મોદી માટે મિત્રતા અને સન્માનનો સંકેત ગણાવ્યો હતો. તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ કરાર બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે અને કહ્યું કે બંને નેતાઓનો રિઝલ્ટ આપવાનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે.