પંજાબમાં વાત બગડી, અકાળી દળ અને ભાજપ વચ્ચે ગઠબંધન નહીં થાય

February 11, 2024

- કેન્દ્ર સરકાર જ્યારે ખેડૂતો માટે નવા કૃષિ કાયદા લાવી હતી ત્યારે તેના વિરોધમાં અકાલી દળે NDA સાથે છેડો ફાડી નાખ્યો હતો


ચંદીગઢ- એનડીએ લોકસભા ચૂંટણીને લઈને પોતાના જૂથને વિસ્તારવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. આ સંદર્ભમાં જ ભાજપ અને અકાલી દળ વચ્ચે પંજાબમાં ગઠબંધનને લઈને છેલ્લા કેટલાક સમયથી વાતચીત ચાલી રહી હતી. હવે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, પંજાબમાં અકાલી દળ અને બીજેપી ગઠબંધન વચ્ચેની વાતચીત નિષ્ફળ ગઈ છે.

પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકસાથે ચૂંટણી નહીં લડવાની જાહેરાત બાદ ભાજપે પોતાની રણનીતિ બદલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અકાલી દળ પણ ખેડૂતોના આંદોલન અને શીખ કેદીઓને મુક્ત કરવાના મુદ્દાઓને લઈને ભાજપ પર દબાણ બનાવી રહ્યું હતું. આ સાથે જ પંજાબનું ભાજપ નેતૃત્વ પણ ગઠબંધનના પક્ષમાં ન હતું. કેન્દ્ર સરકાર જ્યારે ખેડૂતો માટે નવા કૃષિ કાયદા લાવી હતી ત્યારે તેના વિરોધમાં અકાલી દળે NDA સાથે છેડો ફાડી નાખ્યો હતો. ત્યારબાદ અકાલી દળે બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરીને પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી હતી. થોડા સમય પહેલા અકાલી દળના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપ પંજાબની 13 લોકસભા બેઠકોમાંથી 6 બેઠકો પર ચૂંટણી લડવાની માંગ કરી રહી છે જ્યારે અકાલી દળ આટલી બેઠકો આપવા તૈયાર નથી. જ્યારે અકાલી દળ NDAમાં સામેલ હતું ત્યારે તે 10 બેઠકો પર ચૂંટણી લડતુ હતું અને ભાજપ ત્રણ બેઠકો પર ચૂંટણી લડતુ આવ્યુ હતું.


હાલમાં પંજાબમાં અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આ ગઠબંધન તોડવા માંગતા નથી કારણ કે પંજાબમાં બસપાનો સારો પ્રભાવ છે. સુખદેવ સિંહ ઢિંડસાનું જૂથ પણ અકાલી દળમાં સામેલ થાય તેવી વાત ચર્ચાઈ રહી છે.