Breaking News :

જાપાનમાં 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ: હજારો લોકોને સ્થળાંતર કરવા આદેશ

April 21, 2026

જાપાનના ઉત્તર-પૂર્વ દરિયાકાંઠે 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યા બાદ સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ભૂકંપના કારણે વહીવટીતંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં 3 મીટર ઊંચા સુનામીના મોજા ઉછળવાની ચેતવણી આપવામાં આવી હતી, જેના પગલે હજારો લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ અપાયો હતો. રાજધાની ટોક્યોથી આશરે 530 કિમી દૂર ઇવાતે પ્રીફેક્ચરના દરિયાઈ વિસ્તારમાં સર્જાયેલા આ ભૂકંપના આંચકા એટલા પ્રચંડ હતા કે છેક ટોક્યો સુધી તેની અસર અનુભવાઈ હતી.

ભૂકંપ બાદ દરિયામાં મહત્તમ 80 સેમી ઊંચા સુનામીના મોજા નોંધાયા હતા. જોકે, સોમવારે ભૂકંપના થોડા કલાકો બાદ સુનામીની ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી, પરંતુ જાપાનની હવામાન વિભાગની એજન્સીએ આગામી એક સપ્તાહ માટે ગંભીર ચેતવણી જારી કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં 8.0 કે તેથી વધુ તીવ્રતાનો મોટો ભૂકંપ આવવાનું જોખમ સામાન્ય સમય કરતા વધુ છે. એજન્સીએ સાવચેત કરતા જણાવ્યું છે કે, ભવિષ્યમાં આવનારા આંચકા વર્તમાન આંચકા કરતા પણ વધુ શક્તિશાળી હોઈ શકે છે.

સ્થાનિક પરિસ્થિતિ અંગે માહિતી આપતા સરકારી પ્રવક્તા માઇનોરુ કિહારાએ જણાવ્યું હતું કે, આ કુદરતી આપત્તિને કારણે કેટલીક બુલેટ ટ્રેનોની અવરજવર પર અસર પડી છે અને અંદાજે 100 જેટલા ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જોકે, અત્યાર સુધી કોઈ મોટા જાનમાલના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. હોકાઈડો અને હોન્શુ ટાપુ પર વસતા લોકો હજુ પણ ભયના ઓથાર હેઠળ છે, કારણ કે સ્થાનિક સત્તાધીશો લાઉડસ્પીકર દ્વારા સતત લોકોને સતર્ક રહેવા સૂચના આપી રહ્યા છે અને ઘણી ઓફિસોમાં કર્મચારીઓને વહેલા ઘરે જવાની છૂટ આપવામાં આવી છે.