વડોદરા ભવિષ્યમાં વિમાનોના ઉત્પાદનનું હબ બનશે, સી-295 એરક્રાફટ નિર્માણ માટેના પ્લાન્ટનું ઉદઘાટન

October 28, 2024

વડોદરા ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર તો છે જ અને ભવિષ્યમાં તે એવિએશન મેન્યુફેક્ચરિંગ એટલે કે વિમાનો બનાવવાનું હબ બનવાનું છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વડોદરામાં ટાટા-એરબસના સી-૨૯૫ વિમાનો બનાવવા માટેના એરક્રાફ્ટ કોમ્પ્લેક્ષના ઉદઘાટન સમારોહમાં કહ્યું હતું. આ એરક્રાફટ કોમ્પ્લેક્સનું પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝના હસ્તે ઉદઘાટન થયું હતું.એ પછી આમંત્રિતોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, સી-૨૯૫ એરક્રાફટ બનાવવાની ફેકટરી ભારતના નવા વર્ક કલ્ચરનું પ્રતિબિંબ છે.બે વર્ષમાંે આ પ્લાન્ટ બનીને તૈયાર છ.કોઈ પણ પ્રોજેકટના પ્લાનિંગમાં અને તેના અમલમાં બિન જરુરી વિલંબ ના થવો જોઈએ તેવું મારુ માનવું રહ્યું છે.વડોદરામાં રેલવે કોચ બનાવવાની ફેકટરી પણ આ જ રીતે રેકોર્ડ બ્રેક સમયમાં ઉભી થઈ હતી અને ત્યાં બનતા કોચની વિદેશમાં આયાત થાય છે.તે જ રીતે વડોદરામાં બનનારા વિમાનો પણ બીજા દેશોમાં એક્સપોર્ટ થશે. એક સ્પેનિશ કવિને ટાંકીને પીએમ મોદીએ કહ્યું હતું કે, લક્ષ્ય સુધી પહોંચવા માટે એક ડગલુ ભરીએ છે તો રસ્તા આપોઆપ બનવા માંડે છે.છેલ્લા એક દાયકામાં લેવાયેલા નિર્ણયોથી દેશમાં સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન  મળી રહ્યું છે.ખાનગી કંપનીઓ માટે દરવાજા ખોલવામાં આવ્યા છે અને પબ્લિક સેકટરની કંપનીઓને વધારે કાર્યક્ષમ બનાવવામાં આવી છે.દક્ષિણ ભારતમાં બે ડિફેન્સ કોરિડોર બનાવાયા છે.સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની એક્સપોર્ટમાં ૩૦ ગણો વધારો થયો છે.સરકારના પ્રોત્સાહનના કારણે ડિફેન્સ સેકટરમાં ૧૦૦૦ સ્ટાર્ટ અપ ઉભા થયા છે.આજે દુનિયાના ૧૦૦થી વધારે દેશોને ભારતમાંથી હથિયારો અને પાર્ટસની નિકાસ કરવામાં આવે છે.વડોદરાના સી-૨૯૫ પ્રોજેકટ માટેના ૧૮૦૦૦ પાર્ટસ ભારતમાં જ બનવાના છે.આ પાર્ટ નાના અને મધ્યમકદના ઉદ્યોગો બનાવશે.તેનાથી ઉદ્યોગોને વેગ મળશે.