Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

ડોલવણમાં 15 ઈંચ બાદ વ્યારા પાણી પાણી, મીંઢોળા નદીમાં ઘોડાપુર

July 23, 2026

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભારે તાંડવ મચાવી રહ્યા છે, જેમાં તાપી જિલ્લો જળબંબાકાર બની ગયો છે. જિલ્લાના ડોલવણ, વાલોડ અને વ્યારા તાલુકામાં મૂશળધાર વરસાદ પડતાં સમગ્ર પંથકમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. ડોલવણમાં પંદર ઈંચ જેટલો ભારે વરસાદ ઝીંકાયા બાદ વ્યારા સહિતના આસપાસના વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ક્યાંક રસ્તાઓ નદીમાં ફેરવાયા છે તો ક્યાંક નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના તાજેતરના આંકડા મુજબ, આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના સમયગાળામાં જ તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં વ્યારા તાલુકામાં સૌથી વધુ 99 મીમી (આશરે 4 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય ડોલવણમાં 67 મીમી (2.64 ઈંચ), વાલોડમાં 48 મીમી (1.89 ઈંચ), સોનગઢમાં 50 મીમી (1.97 ઈંચ) અને ઉકાઈ વિસ્તારમાં 65 મીમી (2.56 ઈંચ) વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ વધુ વિકટ બની છે. ઉલ્લેખનીય છે કે બુધવાર સવારના 6 વાગ્યાથી ગુરુવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં તાપીના ડોલવણમાં 14.88 ઈંચ જેટલો વરસાદ પહેલાથી જ ખાબકી ચૂક્યો હતો.

અવિરત વરસાદના કારણે વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદીમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ઘોડાપૂર આવ્યા છે. નદી બે કાંઠે વહેતાં વ્યારાથી ચીખલીને જોડતા માર્ગ પર આવેલો લો-લેવલ પૂલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. માર્ગો બંધ થતાં વાહનચાલકો તેમજ ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

સ્થિતિ એટલી ગંભીર બની છે કે વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે. આ પાણી માર્ગો પરથી ઉભરાઈને નીચાણવાળા વિસ્તારમાં આવેલી અનેક દુકાનો અને મકાનોમાં ઘૂસી ગયા છે, જેના કારણે વેપારીઓનો માલસામાન પલળી જતાં ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.