અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ સન્માનભેર પરિવારજનોને સોંપાયા

June 29, 2025

અમદાવાદ : અમદાવાદમાં 12 જૂને ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થતા વિમાનમાં સવાર 242માંથી 241 લોકોના મોત નિપજ્યા છે. આ સિવાય વિમાન જે બી.જે મેડિકલની હોસ્ટેલમાં ક્રેશ થયું ત્યાં પણ અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. દુર્ઘટનાના 17 દિવસ બાદ આ વિશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મૃતકોના આંકડાની સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે, આ દુર્ઘટનામાં 260 લોકોના મોત નિજ્યા છે અને તમામ લોકોના પાર્થિવદેહને સન્માનભેર પરિજનોને સોંપી દેવામાં આવ્યા છે.


ઋષિકેશ પટેલે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, 12મી જૂને એર ઈન્ડિયાના પ્લેનક્રેશની ઘટનામાં કુલ 260 જેટલા પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. આ 260 પરિજનોનામાં 241 મુસાફર હતા અને 19 જેટલા નોન પેસેન્જર હતા. જેમાંથી 6 જેટલાં મૃતદેહો ચહેરાની ઓળખથી ઓળખાયા તેમના પાર્થિવદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ સાથે જ જેમની ડીએનએથી ઓળખ કરવાની જરૂર પડી તેવા 254 જેટલા લોકોને પરિજનો સાથે ડીએનએ મેચિંગ કરીને મૃતદેહોને સોંપી દેવામાં આવ્યા છે. 
આ વિશે વધુ વાત કરતા મંત્રીએ કહ્યું કે, 'આ તમામ ઘટનામાં આરોગ્ય કર્મી, પોલીસ કર્મી, AMCની ટીમ, સ્વંયસેવી સંસ્થાઓ તેમજ સ્થાનિકોએ જે રીતે આખી આ ઘટનાની અંદર મદદ કરી અને એકબીજા વિભાગોના સંકલન દ્વારા આપણે આ દર્દનાક ઘટનાને આટોપી શક્યા છીએ. એમાં પણ જ્યારે પરિજનો ખૂબ દુઃખી હાલતમાં હોય ત્યારે તેમની મદદમાં સમયસર તેમના પરિજનોના પાર્થિવદેહની માંગણીને પૂરી કરી શક્યા છીએ. આ સિવાય છેલ્લો મૃતદેહનો ડીએનએ મેચ થતા તે પાર્થિવ શરીરની પણ પરિવારને સોંપણી કરવામાં આવી છે.