ગુજરાત માટે AAPના સ્ટાર પ્રચારકો જાહેર, જેલમાં બંધ કેજરીવાલ, સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના પણ નામ સામેલ

April 16, 2024

આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાત માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal)નું નામ પણ સામેલ છે. આ સાથે મનીષ સિસોદિયા (Manish Sisodia), સત્યેન્દ્ર જૈન (અને સુનીતા કેજરીવાલ (Sunita Kejriwal) સહિત કુલ 40 લોકોના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે. આ પહેલીવાર હશે જ્યારે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પાર્ટી વતી ઉમેદવારો માટે પ્રચાર કરશે.

I.N.D.I.A ગઠબંધનમાં સીટ શેયરિંગ કરાયા બાદ આમ આદમી પાર્ટી ગુજરાતની બે લોકસભા બેઠકો ભરૂચ અને ભાવનગરથી ચૂંટણી મેદાનમાં ઉતરી છે. જ્યારે કોંગ્રેસ બાકીની 24 બેઠકો પર ચૂંટણી લડવાની છે. દેશભરમાં 19મી એપ્રિલથી સાત તબક્કામાં મતદાન શરૂ થવાનું છે, જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન યોજાશે.

આમ આદમી પાર્ટીએ બંને બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પાર્ટીએ ભરૂચથી ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે. રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો માટે સાતમી મેએ મતદાન યોજાશે. જ્યારે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શનિવારે 16 માર્ચે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો  જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. દેશમાં લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનું પણ 7 મેના રોજ જ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજીસ્ટર્ડ  થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.