લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા ભાજપમાં જોડાશે

February 27, 2024

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાશે. નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા ભાજપમાં જોડાશે. UPA સરકારમાં નારણ રાઠવા કેન્દ્રીય મંત્રી રહી ચૂકયા છે. નારણ રાઠવાએ 1990થી જનતાદળ સાથે જોડાઈને રાજકારણની શરૂઆત કરી હતી.

વી.પી. સિંહ સરકારમાં પ્રથમ વખત કોંગ્રસના સાંસદ અમરસિંહ રાઠવાને હરાવીને નારણ રાઠવા સાંસદ બન્યા હતા. ત્યારબાદ ફરીથી 1995 માં કોંગ્રેસમાં જોડાઈને ભાજપના ભીખુભાઈ રાઠવાને હરાવી બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1999 માં મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપના રામસિંહ રાઠવા સામે તેઓની હાર થઈ હતી.

2004 માં ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાતા તેઓને મનમોહનસિંહ સરકારમાં રેલ રાજ્યમંત્રી તરીકે પદભાર સાંભળવાની જવાબદારી મળી હતી. 2009 અને 2014 માં તેઓની રામસિંહ રાઠવા સામે હાર થઈ હતી. નારણ રાઠવા કોંગ્રેસના અહેમદ પટેલની ખૂબ નજીકના ગણવામાં આવતા હતા અને તેનો લાભ તેઓને વર્ષ 2018 માં મળ્યો હતો અને રાજયસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.