સુરતમાં ફરી ઇતિહાસ રચાયો! માત્ર 100 કલાક ધરતી પર જીવી બાળકે 5 લોકોને નવજીવન બક્ષ્યું!

October 28, 2023

સુરત: જન્મ પછી આંખ પણ ખોલી ન શકેલા અને ધરતી ઉપર માત્ર 100 કલાક રહીને પણ એક બાળક પાંચ બાળકોના જીવનમાં અજવાળા પાથરી ગયાની વિરલ ઘટના સુરતમાં બની છે. અમરોલી વિસ્તારમાં રહીને હીરાના કારખાનામાં નોકરી કરતાં અનુપ ઠાકોરની પત્ની વંદનાબેને બાળકને જન્મ આપ્યો. જન્મ પછી બાળક રડતું પણ ન હતું કે કોઈપણ પ્રકારની હલનચલન કરતું ન હોવાથી એને તુરંત દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ, કતારગામમાં દાખલ કરાયું. ત્યાં એને સાજા કરવાના અને બચાવવાના અનેક પ્રયત્ન પછી બાળકને બ્રેઇનડેડ જાહેર કરાયું હતું. એ પછી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પ્રયત્નોથી બાળકનું પરિવાર અંગદાન માટે રાજી થયું અને જન્મના માત્ર ૧૦૦ કલાકમાં એના અંગોનું દાન થયું છે.

અમરોલી વિસ્તારમાં રહેતા અનુપસિંહ હેમેશ ઠાકોર અને પરિવાર પાંડુરંગ દાદાના સ્વાધ્યાય પરિવારનો અનુયાયી છે. મૂળ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દેદેડાના વતની એવા અનુપસિંહ સુરતમાં રત્નકલાકાર તરીકે કાર્યરત છે. એમની પત્ની વંદનાબેનને પ્રસૂતિના સમયે આંતરિક રક્તસ્ત્રાવ વધતાં એમની પ્રસૂતિ સિઝેરીયનથી કરવામાં આવી હતી. પરંતુ એમનું બાળક જન્મતાવેંત કોઈ હલનચલન કરતું ન હતું કે જન્મ પછી એ રડ્યું પણ ન હતું. એના શ્વાસ પણ બંધ જણાતા તાત્કાલિક કતારગામની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ ખસેડયું. 


અનુપસિંહ ઠાકોરનો પરિવાર પરિવારમાં બાળક આવ્યાની ખુશી મેળવે એ સમયે જ આઘાતમાં હતું. બાળકના બચવાની આશા ન હતી. એવા સમયે બ્રેઇન ડેડ બાળકનું પણ અંગદાન થઈ શકે છે. અંગદાન અંગે એમને વિગતવાર જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ડૉ.નિલેશ કાછડિયા અને વિપુલ તળાવિયાએ આપી હતી. થોડા જ દિવસ પહેલા સુરતમાં પાંચ દિવસના બાળકના અંગદાનના સમાચાર આ પરિવારે વિવિધ માધ્યમમાં જોયેલા અને જાણેલા.અનુપભાઇ ઠાકોરે જણાવ્યુ હતું કે, પ્રેસ-મીડિયામાં જોયેલા એ સમાચાર પછી અમારે પણ આવો કોઈ નિર્ણય કરવો પડશે એવી કલ્પના પણ કરી ન હતી.