ભારત અને કેનેડા સંબંધો સુધારે છે મોદી-કાર્ની વચ્ચે સઘન મંત્રણા

November 25, 2025

જોહાનિસબર્ગ : જી-૨૦ દેશોની અહીં ચાલી રહેલી મંત્રણા રવિવારે સંપન્ન થઈ. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક-કાર્ની વચ્ચે સઘન મંત્રણાઓ થઈ હતી. તેમજ એક મહત્વનો મુદ્દો તે હતો કે, કેનેડા તેના નાગરિકત્વ ધારામાં સુધારો કરી જે દંપતિ૩ વર્ષ સુધી કેનેડામાં રહ્યું હોય તેનાં બાળકોને આપોઆપ કેનેડાનું નાગરિકત્વ મળી જશે. પરંતુ તેથીએ મહત્વના કારારો તો બંને દેશો વચ્ચે આર્થિક ક્ષેત્રે થયા. કોમ્પ્રીહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઈપીએ) તરીકે ઓળખાતા આ કરારો ૨૦૧૦ થી ચર્ચવામાં આવ્યા હતા. પરંતુ ૨૦૨૧ સુધી તેણે જોર પકડયું નહીં. ૨૦૨૨માં તેણે જોર પકડયું છે તે પ્રમાણે ફાર્માસ્યુટિકલ્સ, ક્રીટિકલ એન્ડ રેર અર્થ મિનરલ્સ, તેમજ ટુરીઝમ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર્સ (શહેર) મૂળભુત માળખા, રિન્યુએબલ એનર્જી અને માઇનિંગ ક્ષેત્રે કરારો ફરી તાજા કરાયા. પહેલા આ કરારો થયાજ હતા, પરંતુ ૨૦૨૩માં તે વિલંબિત થયા. તેનું કારણ ખાલીસ્તાન મુદ્દો બંને દેશો વચ્ચે ઉપસ્થિત થયેલો ખટરાગ હતું.

ખાલીસ્તાની નેતા નિજ્જરની કેનેડામાં થયેલી હત્યા પછી બંને દેશોના સંબંધો વણસી ગયા હતા. કેનેડા તે હત્યા માટે ભારતને જવાબદાર ગણતું હતું. ભારતે તે આક્ષેપોને સદંતર રદીયો આપ્યો હતો. તેસાથે સંબંધો એટલી હદે વણસ્યા કે બંનેએ પરસ્પરના દૂતાવાસોમાંથી દૂતાવાસોમાં રહેલાઓની સંખ્યા ઘટાડી હતી. રાજદૂતો પોતે સ્વદેશ પાછા અને ચાર્જ-દે- એફેર્સને કાર્યવાહી સોંપી દીધી હતી. ત્યારથી (૨૦૨૩થી) મંત્રણા બંધ રહી હતી.

માર્ક કાર્ની વડાપ્રધાન પદે આવ્યાત્યારે કેનેડાના વિદેશ મંત્રી અનીતા આનંદ અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચે વારંવાર મંત્રણાઓ થતી રહી અને રાજદ્વારી પ્રણાલી શરૂ થતાં ઓકટોબર ૨૦૨૫માં બંનેના દૂતાવાસો પૂર્ણત: કાર્યરત થઈ ચૂકયા છે.

જી-૨૦ પરિષદના છેલ્લા દિવસે બંને નેતાઓ વચ્ચે થયેલી સઘન મંત્રણાઓના અંતે પત્રકાર પરિષદને કરેલા સંબોધનમાં કાર્નીએ ચાયના તેમજ ભારત બંને સાથે સમતુલ સંબંધો રાખવાની જાહેરાત કરવા સાથે કહ્યું હતું કે, કેનેડા- ઓસ્ટ્રેલિયા અને ભારત એક ત્રિપક્ષીય જૂથ રચવાના છે. જે વ્યાપાર-વાણિજયની વૃદ્ધિના હેતુથી રચાશે. તેઓએ ભારત સાથે ટેકનોલોજી ટ્રાન્સફર માઇનિંગ જેવા ક્ષેત્રો અને ઊર્જા ક્ષેત્ર વિષે થયેલા કરારોનો ઉલ્લેખ કરવાસાથે જણાવ્યું હતું કે કેનેડા ભારતને યુરેનિયમ આપશે.