ભારતે Prithvi-II અને Agni-I બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું, જાણો વિશેષતા

July 17, 2025

ભારતે આજે ગુરુવારે (17 જુલાઈ) બે સ્વદેશી ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો પૃથ્વી-2 અને અગ્નિ-1નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. બંને મિસાઇલો ઓડિશા કિનારે સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી લોન્ચ કરવામાં આવી હતી. આ મામલે સંરક્ષણના સૂત્રો દ્વારા માહિતી આપી છે.

મળતી માહિતી મુજબ, સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના નેજા હેઠળ હાથ ધરવામાં આવેલા આ ટ્રેનિંગ લોન્ચના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ માપદંડોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. અગ્નિ-1 મિસાઇલનું પ્રથમ પરીક્ષણ અબ્દુલ કલામ ટાપુ પરથી કરવામાં આવ્યું હતું, જ્યારે થોડા સમય પછી પૃથ્વી-2 મિસાઇલને ચાંદીપુર સ્થિત ITRના લોન્ચ પેડ નંબર-3 પરથી છોડવામાં આવી હતી.

અગ્નિ-1 મિસાઇલની રેન્જ 700 કિલોમીટર સુધીની છે. આ મિસાઇલનું વજન 12 ટન છે અને તે 1,000 કિલોગ્રામ પરમાણુ હથિયાર વહન કરી શકે છે. અગ્નિ-1 મિસાઇલને એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી દ્વારા ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ લેબોરેટરી અને રિસર્ચ સેન્ટર ઇમારતના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ મિસાઇલ હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આ મિસાઇલને સૌપ્રથમ વર્ષ 2004માં સેવામાં લેવામાં આવી હતી. આ જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલ સોલિડ પ્રોપેલન્ટ્સ દ્વારા બનાવવામાં આવી છે.

પૃથ્વી-2 બેલિસ્ટિક મિસાઇલ સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. પૃથ્વી-2 મિસાઇલની રેન્જ 350 કિ.મી. છે. પૃથ્વી-2 500 થી 1,000 કિલોગ્રામ વજનના હથિયાર લઈ જઈ શકે છે. 350 કિ.મી.ની રેન્જ ધરાવતી આ મિસાઇલમાં બે એન્જિન છે. તે પ્રવાહી અને ઘન બળતણ બંનેથી સંચાલિત થાય છે. પૃથ્વી મિસાઇલ 2003 થી સેનામાં છે, જે 9 મીટર લાંબી છે. પૃથ્વી DRDO દ્વારા ઉત્પાદિત પ્રથમ મિસાઇલ છે.