કેનેડામાં ભારતીય મૂળના યુવકની હત્યા, 4ની ધરપકડ

June 11, 2024

કેનેડામાં ભારતીયો પર હુમલાની ઘટના વધી રહી છે. ત્યારે વધુ એક ભારતીય મૂળના એક શખ્સની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે આ ઘટના કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં બની છે. મહત્વનું છે કે લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યા છે.  પોલીસનું કહેવું છે કે એવું લાગે છે કે ભારતીયોને પસંદગીપૂર્વક નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં મનવીર બસરામ (23), સાહિબ બસરા (20), હરકીરત (23), કેલોન ફ્રાન્સિસ (20)ની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો કેસ નોંધવામાં આવ્યો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે મૃતકની ઓળખ યુવરાજ ગોયલ તરીકે થઈ છે. શુક્રવારે સવારે કેનેડાના પોલીસને ગોળીબાર થઇ હોવાની જાણકારી મળી હતી.

યુવરાજની બહેન ચારુએ જણાવ્યું કે તેનો ભાઈ સરેમાં કાર ડીલરશીપમાં કામ કરતો હતો. તેનું કહેવું છે કે તેની હત્યા શા માટે કરવામાં આવી તેની તેને કોઈ જાણ નથી. યુવરાજના સાળા બાવનદીપનું કહેવું છે કે ગોળી મારતા પહેલા યુવરાજ તેની માતા સાથે ફોન પર વાત કરી રહ્યો હતો.

તે જીમમાંથી આવ્યો હતો અને કારમાંથી બહાર આવતાની સાથે જ તેના પર ગોળી વાગી હતી.  યુવરાજ 2019માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા પહોંચ્યો હતો. તેમને તાજેતરમાં કેનેડિયન પરમેનન્ટ રેસિડેન્ટ (PR)નો દરજ્જો આપવામાં આવ્યો હતો. 28 વર્ષીય યુવરાજ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો. તેના પિતા રાજેશ ગોયલ એક બિઝનેસમેન છે.