ટ્રુડોને માથે લટકતી તલવાર, પક્ષમાં અસંતોષનો સૂર ઊઠ્યો

October 18, 2024

ટોરોન્ટો ઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાનો રાજકીય આધાર મજબૂત કરવાના પ્રયાસમાં ભારત સાથેનો સંબંધ બગાડ્યો, જેને કારણે તેમના જ પક્ષમાં અસંતોષનો સૂર ઊઠ્યો છે. એક લિબરલ સાંસદ સીન કેસીએ તો ખુલ્લેઆમ ટ્રુડોના રાજીનામાની માંગ કરીને કહ્યું કે, હવે તેમના જવાનો સમય આવી ગયો છે. સીન કેસી એકમાત્ર સાંસદ નથી, એમના જેવા ઘણા અસંતુષ્ટ નેતાઓ છે, જે નવા નેતૃત્વની શોધમાં છે. ટ્રુડોના રાજીનામાની માંગણી કરતી વખતે પણ આ વર્ગ કહી રહ્યો છે કે, જો પી.એમ. રાજીખુશીથી ખુરશી છોડવા તૈયાર ન થાય તો તેમને બળજબરીથી પણ પાર્ટીના નેતા પદ પરથી હટાવી દેવા જોઈએ. પાર્ટીના સભ્યોના ગુસ્સાનું મુખ્ય કારણ તાજેતરમાં થયેલો એક સર્વે છે, જે દર્શાવે છે કે હાલમાં ટ્રુડોના નેતૃત્વવાળી સત્તાધારી લિબરલ પાર્ટી’ મુખ્ય વિપક્ષી પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટીથી ઘણી પાછળ છે. સત્તાધારી પાર્ટી હાલ વિપક્ષથી 20 ટકા પાછળ ચાલી રહી છે, એનો અર્થ એ કે જો વર્તમાનમાં ચૂંટણી યોજાય તો લિબરલ પાર્ટીની હાર નિશ્ચિત છે. સર્વે મુજબ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોઈલિવરે વર્ષ 2025માં યોજાનાર ચૂંટણીમાં વડાપ્રધાન પદની રેસમાં સૌથી આગળ જણાઈ રહ્યા છે.
ટ્રુડોની નીચે જઈ રહેલી લોકપ્રિયતા તરફ ઈશારો કરે એવો આ એકલદોકલ સર્વે નથી. આ ઉપરાંત થયેલા અન્ય સર્વેમાં પણ ટ્રુડો પ્રત્યે અસંતોષની લાગણી જોવા મળી છે. સપ્ટેમ્બર 2023માં થયેલા એક સર્વેમાં કેનેડાના 39 ટકા નાગરિકો વડાપ્રધાનની કામગીરીથી અસંતુષ્ટ હતા. આ આંકડો હવે વધીને 65 ટકા થઈ ગયો છે. ટ્રુડો ખુરશીની મમત નહીં છોડે તો લિબરલ પાર્ટીનું જહાજ ડૂબશે, એ ડરે પણ એમની પાર્ટીના સાંસદો હવે ટ્રુડો સામે ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કરવા લાગ્યા છે.