શટલ ટ્રેન હુમલા બાદ પાક સેનાની મોટી કાર્યવાહી, બલૂચિસ્તાનમાં 17 સંદિગ્ધ આતંકીઓ ઠાર

June 03, 2026

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સુરક્ષા દળોએ મોટી સૈન્ય કાર્યવાહી હાથ ધરી છે. સેનાએ ગયા અઠવાડિયે થયેલા ઘાતક ટ્રેન હુમલા બાદ કાર્યવાહી કરતાં 17 સંદિગ્ધ આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકીઓના ઠેકાણાઓ પરથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે.

પાકિસ્તાની સેનાએ મંગળવારે આ સમગ્ર ઓપરેશનની માહિતી આપી હતી. સેનાના જણાવ્યા મુજબ આતંકીઓ પાસેથી ભારે પ્રમાણમાં વિસ્ફોટકો અને અગાઉથી તૈયાર કરાયેલા IED પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાંથી આતંકી તત્વોનું સંપૂર્ણ ઉન્મૂલન કરવા માટે સર્ચ ઓપરેશન સતત ચાલુ રહેશે અને આતંકવાદ વિરોધી અભિયાન વધુ તેજ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 24 મેના રોજ બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાના સૈન્ય વિસ્તારમાં એક શટલ ટ્રેન પર બોમ્બ હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં 14 લોકોનાં મોત થયા હતાં. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત સંગઠન BLAએ સ્વીકારી હતી.

ટ્રેન હુમલા બાદ ગુપ્ત માહિતીના આધારે બલૂચિસ્તાનના મસ્તુંગ, નુશ્કી, જેહરી, ખુઝદાર અને કેચ જિલ્લાઓમાં વ્યાપક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. સેનાના જણાવ્યા અનુસાર અથડામણમાં BLAના 17 આતંકીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહીથી વિસ્તારમાં સક્રિય આતંકી નેટવર્કને મોટો ઝટકો લાગ્યો હોવાનું સેનાએ જણાવ્યું છે.