ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હડકંપ, 2ના મોત, 6 હોસ્પિટલમાં દાખલ, ઉજ્જૈનથી આવી હતી દારૂની 28 પેટી

August 19, 2026

ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકોના કરુણ મોત નીપજતાં અને 6 લોકો હોસ્પિટલમાં દાખલ થતાં સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે. સારવાર હેઠળના દર્દીઓમાંથી 2ની હાલત અત્યંત ગંભીર છે, જ્યારે 1 વ્યક્તિને વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં દારૂબંધીના અમલ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી દારૂની 28 પેટીઓ ભાવનગર મોકલવામાં આવી હતી, જેમાંથી પોલીસે 15 પેટીઓ જપ્ત કરી લીધી છે, જ્યારે બાકીની 13 પેટીઓ શોધી કાઢવા ભાવનગર પોલીસે આકાશ પાતાળ એક કર્યા છે. આ દરમિયાન ધોલેરાના બુટલેગર શૈલેષ મેરે ભાવનગરના જયદીપ મકવાણા પાસેથી 2 પેટી દારૂ ખરીદ્યો હતો, જોકે અમદાવાદ ગ્રામ્ય પોલીસની સતર્કતાને કારણે આ દારૂ વેચાય તે પહેલાં જ પકડી પાડવામાં આવ્યો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલવામાં આવ્યા છે. મોડી રાત્રે 12 વાગ્યે નાયબ મુખ્યમંત્રીએ એરપોર્ટ પર જ ડીજીપી, આઈબી ચીફ અને એસએમસીના ઉચ્ચ અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક યોજીને કડક પ્લાન ઓફ એક્શન સાથે કામગીરી કરવા નિર્દેશ આપ્યા હતા.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઝેરી દારૂના કારણે અનેક વખત નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને રાજ્યમાં લઠ્ઠાકાંડનો ઇતિહાસ દાયકાઓ જૂનો છે. વર્ષ 1977માં અમદાવાદમાં ઝેરી દારૂકાંડમાં 100થી વધુ લોકોના મોત થયા હતા, 1989માં વડોદરામાં લઠ્ઠાકાંડમાં 132 લોકોના મોત થયા હતા અને 1990માં જૂનાગઢના સુત્રાપાડામાં ઝેરી દારૂથી 17 લોકોના મોત થયા હતા.