યુક્રેન પર રશિયાનો હુમલો, ગાઝામાં સહાય રોકી હુમલા વધારવાની તૈયારીમાં ઈઝરાયલ

August 31, 2025

ભારત-ચીન સરહદના તણાવમુક્ત સંચાલન માટે સહમત, PM મોદી-જિનપિંગની બેઠકમાં લેવાયા મહત્ત્વના નિર્ણય
તિયાનજિન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના તિયાનજિન પહોંચ્યા છે, જ્યાં વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.આ દ્વિપક્ષીય વાતચીત લગભગ 40 મિનિટ સુધી ચાલી. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે 'અમે પરસ્પર વિશ્વાસ અને આદર સાથે સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.' નોંધનીય છે કે, સાત વર્ષ પછી વડાપ્રધાન મોદીની આ ચીનની મુલાકાત થઈ હતી અને દસ મહિનામાં શી જિનપિંગ સાથેની તેમની બીજી મુલાકાત હતી. છેલ્લી મુલાકાત બ્રિક્સ 2024 સમિટ (કાઝાન, રશિયા)માં થઈ હતી.


શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ દરમિયાન શી જિનપિંગ સાથેની દ્વિપક્ષીય મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'ભારત અને ચીન વચ્ચે સરહદ વ્યવસ્થાપન પર એક કરાર થયો છે, કૈલાશ માનસરોવર યાત્રા અને સીધી ફ્લાઇટ્સ પર પણ પ્રગતિ થઈ છે. 2.8 અબજ લોકો આ સાથે જોડાયેલા છે અને સમગ્ર માનવતાને તેનો લાભ મળશે.'


તિયાનજિનમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથેની મુલાકાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'ગયા વર્ષે કાઝાનમાં ફળદાયી વાતચીતથી ભારત-ચીન સંબંધોને સકારાત્મક દિશા મળી હતી. સરહદ પર તણાવ ઓછો થયા પછી શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ સર્જાયું છે.' આ મુલાકાત SCO સમિટ દરમિયાન થઈ હતી, જે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા માટેનું બીજું પગલું છે.