સચિન તેંડુલકરને મળશે BCCIનો લાઈફટાઈમ એચિવમેન્ટ એવૉર્ડ, અન્ય પાંચ દિગ્ગજોને પણ મળશે ખાસ સન્માન

February 01, 2025

વર્ષ 2023-24 માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ક્રિકેટના ભગવાન કહેવાતા મહાન બેટર સચિન તેંડુલકરને કર્નલ સીકે નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. સચિને બે દાયકાથી વધુ સમય સુધી ક્રિકેટમાં આપેલા તેના મહત્ત્વપૂર્ણ યોગદાન માટે આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે.  આ સિવાય ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને પુરુષોમાં અને સ્મૃતિ મંધાનાને મહિલા કેટેગરી માટે સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સંન્યાસ લઇ ચૂકેલા દિગ્ગજ સ્પીનર આર. અશ્વિનને BCCIએ સ્પેશિયલ એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ માટે સરફરાઝ ખાન અને આશા શોભનાને એવોર્ડ આપવામાં આવશે. BCCI આ એવોર્ડ પહેલી ફેબ્રુઆરીએ મુંબઈ ખાતે આયોજિત સમારોહમાં આપશે.  સચિન તેંડુલકર 24 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. આ દરમિયાન તેણે અનેક યાદગાર ઇનિંગ્સ અને એવોર્ડ બનાવ્યા હતા. તેણે 100 આંતરરાષ્ટ્રીય સદી અને 34357 રન બનાવ્યા હતા. સચિને માત્ર 16 વર્ષની ઉંમરે ક્રિકેટની દુનિયામાં પગ મૂક્યો હતો. વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર તે પહેલો ખેલાડી હતો. તે એકમાત્ર એવો ક્રિકેટર છે કે જેણે 200 ટેસ્ટ મેચ રમી છે. સચિન સિવાય વિસ્ફોટક ઝડપી બોલર જસપ્રીત બુમરાહને સતત ત્રીજી વખત પુરુષ કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કરીકે પસંદગી કરવામાં આવી છે. તે હાલ ટેસ્ટ ફોર્મેટમાં નંબર-1 બોલર છે. તેણે વર્ષ 2024માં 13 ટેસ્ટમાં 7 વિકેટ ઝડપી હતી. જયારે T20Iમાં 15 વિકેટ ઝડપી હતી. તેને પૂરા વર્ષ દરમિયાન શાનદાર પ્રદર્શન કરવા બદલ 'ICC ક્રિકેટર ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.