હજુ 4 દિવસ અતિભારે:177 તાલુકામાં 1થી 10 ઈંચ વરસાદ, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિ

September 18, 2023

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ. રાજ્યમાં આજે ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે પણ અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, ખેડા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

ગઈકાલે સવારે 6 થી સાંજે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 177 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી. જેમાં 97 તાલુકાઓમાં 1 ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પંચમહાલના ગોધરામાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે અને સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા આજે સાંજ સુધીમાં 9613 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ભરૂચ જિલ્લામાં 5744, નર્મદા જિલ્લામાં 2317, વડોદરામાં 1462, દાહોદમાં 20 અને પંચમહાલ જિલ્લામાં 70 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું. ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઘોડાપૂર વચ્ચે 158 ગામોમાં અંઘારપટ છવાયો. દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ સર્કલ દ્વારા સલામતીના કારણોસર નર્મદાના 137 અને ભરૂચનાં 21 ગામોનો વીજ પુરવઠો કટ ઓફ કરાયો. ભરૂચ શહેરમાં મક્તમપુર, ગોલ્ડનબ્રિજ, દશાશ્વમેઘ, ફુરજા, સોમનાથ-લોઢવાણનો ટેકરા વિસ્તારમાં પણ પાણી સાથે વીજળી ડૂલ કરાઈ છે. પાણી ઓસરતા જ વીજ પુરવઠો પુનઃ શરૂ કરાશે.

મધ્ય ગુજરાતમાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં નર્મદા નદીમાં પૂર આવ્યું છે. સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડાતા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યા હતા કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઊજવવા માટે સરદાર સરોવર ડેમને છલોછલ ભરવામાં આવ્યો હતો. ઉજવણીના ભાગરૂપે એકસાથે પાણી છોડાતા આસપાસનાં ગામડાની જમીનો ધોવાઈ અને રહેણાક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ભાજપની આ નૌટંકી સરકારે વડાપ્રધાનને વહાલા થવા માટે આ પગલું લીધું હતું. તેના કારણે નર્મદા અને આસપાસના વિસ્તારોના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

ભારે વરસાદને લઈને ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો. ગુજરાતના અનેક વિસ્તારોમાં દોડતી કેટલીક ટ્રેનો ભારે વરસાદના કારણે રદ થઈ. વડોદરામાં પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે આવેલ બ્રિજ નંબર 61 અને 76 પર પાણી જોખમી સ્તર વટાવી જતા ટ્રેન વ્યવહાર પર અસર પડી. જેમાં 8 ટ્રેન રદ કરવામાં આવી જ્યારે અન્ય કેટલીક ટ્રેનો આંશિક રદ કરવામાં આવી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ‘આયુષ્માન ભવ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ અભિયાનનો ઉદ્દેશ્ય 35 કરોડ લોકો સુધી ‘આયુષ્માન ભારત યોજના’નો લાભ પહોંચાડવાનો છે. સાથે જ પીએમ મોદીએ વિશ્વકર્મા સન્માન યોજના લોન્ચ કરી. જેનો લાભ 30 લાખ વિશ્વકર્મા પરિવારોને મળશે. આ યોજનાથી 18 વ્યવસાય સાથે જોડાયેલા લોકોને લાભ મળશે. જેના માટે 13 હજાર કરોડનું ફંડ ઊભું કરવામાં આવશે. આ દરમિયાન વડાપ્રધાને સંબોધન પણ કર્યુ. યોજનાના પ્રથમ તબક્કામાં કામદારોને 5% વ્યાજ દરે 1 લાખ રૂપિયાની લોન મળશે. તે જ સમયે, આગામી તબક્કામાં આ રકમ વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવશે. યોજના હેઠળ કારીગરો અને કારીગરોને તાલીમ પણ આપવામાં આવશે.