ખાલીસ્તાની દેખાવકારોથી દૂતાવાસને રક્ષવા બ્રિટને ભારતને આપેલી ખાતરી

March 21, 2023

લંડન: ખાલીસ્તાનવાદી જૂથે ખાલીસ્તાનનો ધ્વજ ફરકાવતાં અહીંના ભારતીય દૂતાવાસમાં ઘૂસી જઈ તોડફોડ કરવા ઉપરાંત દૂતાવાસ પર ફરકતો ત્રિરંગો ધ્વજ પણ ખેંચવા પ્રયત્ન કર્યો હતો. આ પછી બ્રિટિશ સરકારે દૂતાવાસને પૂરી સલામતી આપવાની ખાતરી આપી હતી. જ્યારે બ્રિટિશ અધિકારીઓએ રવિવારે બનેલી આ ઘટના ઘણી જ વખોડવા લાયક શરમજનક અને અસ્વીકાર્ય કહી હતી. દૂતાવાસને પૂરતી સલામતી આપવાની પણ ખાતરી આપી હતી. આ અંગે દૂતાવાસના અધિકારીએ કહ્યું હતું કે, ખાલીસ્તાનવાદીઓએ ત્રિરંગો ધ્વજ ખેંચી કાઢવા પ્રયત્નો કર્યો હતો. પરંતુ તે નિષ્ફળ કરાયા હતા. જો કે તે દરમિયાન સલામતી સ્ટાફના બે સભ્યોને ઇજાઓ થઈ હતી. તેમને અત્યારે સારવાર અપાઈ રહી છે. પરંતુ ઇજાઓ ગંભીર નહીં હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા ન હતા. આ અંગે લંડનના મેયર સાદીક ખાને આ ઘટનાને વખોડવા લાયક કહેતાં જણાવ્યું હતું કે, આવી ઘટનાઓને લંડનમાં સ્થાન જ નથી. જ્યારે ભારત સ્થિત બ્રિટિશ હાઇકમિશનરે તેને શરમજનક તથા સંપૂર્ણતઃ અસ્વીકાર્ય કહી હતી. બ્રિટનનાં વિદેશ મંત્રાલયના લોર્ડ તારીક અહમદ ઑફ વિમ્બલ્ડન, કહ્યું હતું કે 'તે ઘટનાથી મને ઘણો આઘાત લાગ્યો છે. સરકાર તે સંબંધે યોગ્ય પગલા લેશે જ. બ્રિટનની વિશ્વ વિખ્યાત જાસૂસી સંસ્થા સ્કોટલેન્ડ યાર્ડે આ ઘટનામાં સંડોવાયેલા મનાતા એક શખ્સની ધરપકડ કરી હતી તેની પૂછપરછ શરૂ કરી દીધી છે.