ધોની વિરુદ્ધ BCCIમાં ફરિયાદ, કરોડોની છેતરપિંડી સાથે જોડાયેલો છે સમગ્ર વિવાદ

August 12, 2024

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.  બીસીસીઆઈના એક અધિકારીએ મહેન્દ્ર સિંહ ધોની સામે 'હિતોનો ટકરાવ(Conflict Of Interest)'ની ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદ બીસીસીઆઈના નિયમ 39 હેઠળ બોર્ડની એથિક્સ સમિતિ સમક્ષ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના રહેવાસી રાજેશ કુમાર મૌર્યએ આ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ 15 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસ સાથે સંબંધિત છે. જે ભારતીય ક્રિકેટર એમએસ ધોની દ્વારા રાંચીની સિવિલ કોર્ટમાં મિહિર દિવાકર નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બીસીસીઆઈની એથિક્સ સમિતિએ આ મામલે ધોની પાસેથી 30 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે. આ ઉપરાંત રાજેશ કુમાર મૌર્યને પણ 16 સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. રાંચીની સિવિલ કોર્ટમાં એમએસ ધોનીએ મિહિર દિવાકર નામના વ્યક્તિ સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. જેમાં મિહિર દિવાકર સિવાય સૌમ્ય દાસ અને આરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ સામે છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જે ધોની સાથે બિઝનેસ કરી રહી હતી. કહેવાઈ રહ્યું છે કે, ધોની સામે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ હતી. 20 માર્ચ, 2024 ના રોજ થયેલી સુનાવણીમાં, રાંચી સિવિલ કોર્ટે મામલાને યોગ્ય ગણાવ્યો હતો, જેમાં મિહિર દિવાકર, સૌમ્ય દાસ અને આરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને સમન્સ પાઠવામાં આવ્યા હતા. ધોનીએ ખાસ કરીને મિહિર દિવાકર પર કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. કરાર વર્ષ 2021 માં સમાપ્ત થઈ ગયો હતો, તેમ છતાં મિહિર દિવાકરની કંપની (આરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ) તેમના નામનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું.