સૌરાષ્ટ્રના સિનિયર નેતાઓમાં ઘેરો અસંતોષ પણ સહુના મોઢા સીવાયેલા, 3 જિલ્લામાં ધૂંધવાટ

October 18, 2025

ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં 26 પૈકી 8 મંત્રીઓ સૌરાષ્ટ્રના હોવાથી સૌરાષ્ટ્રનું વજન વધ્યું હોવાની દેખીતી છાપ તો ઉપસે છે. પરંતુ, ભાજપના સિનિયરોને અન્યાય અને કેટલાક જિલ્લાઓની બાદબાકી સહિતનાં કારણોસર રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લામાં ભાજપમાં અંદરખાને અસંતોષ પ્રવર્તે છે. પરંતુ, ટોચના નેતાઓના નિર્ણય સામે બોલવાની ગુસ્તાખી કરવાનું ટાળીને સિનિયરોએ મો સીવી લીધાં છે.

રાજકોટમાંથી ભાનુબહેન બાબરિયાને બેસાડી દેવાતાં વિજય રૂપાણીના સમયમાં જેનો દબદબો હતો એ શહેરનું મહત્ત્વ તેમના પછી તબક્કાવાર ઘટતું ચાલ્યાની નારાજગી ઉપરાંત અનુ.જાતિમાં પણ કચવાટ છે. જ્યારે આ જિલ્લાના સિનિયર લેઉવા પટેલ- ભૂતપૂર્વ મંત્રી જયેશ રાદડિયાને પણ ખાસ્સી ચર્ચા છતાં પુનઃ સ્થાન નથી અપાયું. સહકારી ક્ષેત્રે વિરોધમાં પડવાનું તેમને ભારે પડ્યાનું મનાય છે. જો કે, નારાજગી દર્શાવવાને બદલે તેમણે નવા મંત્રીઓને શુભેચ્છા આપીને 'પાર્ટી અમારા જેવા કાર્યકરને જ્યારે જે જવાબદારી આપે તે નિભાવતા રહીએ છીએ' એવી પ્રતિક્રિયા આપી હતી.