ગુજરાતમાં 17 લોકો પર વીજળી મોત બનીને ત્રાટકી, અનેક નિર્દોષ પશુઓનો મોત

November 26, 2023

ખેડા- રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 220 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના ભાભરમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે, પાટણના રાધનપુરમાં પણ પોણા બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 36 તાલુકામાં એકથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. વંથલી, તાલાલા અને અંકલેશ્વરમાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો છે.
બીજી બાજુ આજનો દિવસ ગુજરાતીઓ માટે ગોજારો સાબિત થયો છે. કમોસમી વરસાદ પડવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં મોતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં આજે કમોસમી વરસાદથી વીજળી અને વૃક્ષ પડવાની ઘટનામાં 17 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે. જેમાં અમરેલી, બોટાદ, વિરમગામ અને કડીમાં 4નાં મોત થયા છે, જ્યારે ભરૂચ, તાપી અને બનાસકાંઠામાં 2-2 તો સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પંચમહાલ અને મહેસાણામાં એક-એકના મોત થયા છે.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક જગ્યાએ વીજળી વેરણ બનીને ત્રાટકી હતી. જેથી 17 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત વીજળી પડવાથી અનેક પશુઓના પણ મોત થયાં હતા. તેમજ વીજળી પડવાથી કેટલીક જગ્યાએ આગ પણ લાગી છે. મહેસાણાના કડી, અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળા તેમજ ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદ, બાવળા અને વિરમગામમાં પણ વીજળી પડવાથી મોત થયાના સમાચાર સામે આવ્યાં છે. બીજી બાજુ ભારે પવનના કારણે મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રીક્ષા ચાલકનું મોત થયું છે. વીજળી પડવાની ઘટનાથી દાહોદમાં 3, ભરૂચમાં 2, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા ,પંચમહાલ,બોટાદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં  1-1 માનવ મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં વીજળી પડવાથી અત્યાર સુધી કુલ 39 પશુઓના મૃત્યુ નોંધાયા છે. સૌથી વધુ પશુ મૃત્યુ ખેડામાં 15 પશુઓના મૃત્યુ નોંધાયા છે. 
બારડોલી તાલુકાના મઢી ગામમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ. ખેત મજુરી કરતી શ્રમિક મહિલાઓ ઉપર વીજળી પડી હતી. આઠ જેટલી મહિલાઓ ખેતરમાં મરચા તોડી રહી હતી, તે દરમિયાન ખેતરમાં વીજળી પડી હતી. વીજળી પડતા આઠ જેટલી મહિલાઓ દાઝી ગઈ હતી. આઠેય મહિલાઓને બારડોલીની સરદાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. જેમાં 4 મહિલાઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ. અન્ય 4 પેકી ની 1 ની હાલત ગંભીર થતા સુરત સિવિલ ખાતે ખસેડાઈ છે.
ખેડાના કઠલાલમાં વીજળી પડતાં 10 પશુઓના મોત નિપજ્યા છે. ઘોઘાવાવ ગમામાં વીજળી પડવાથી 10 બકરીઓના મોત થયા. સ્થાનિક ધારાસભ્ય રાજેશ ઝાલાને જાણ થતાં તેઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મોસમી માવઠામાં વીજળી પડતા બકરીઓના મોત થયા. સરકારી અધિકારીઓ દ્વારા ઘટના સ્થળ પર પણ પંચનામુ કરી પશુઓના પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી.