યમુનોત્રીમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ પણ ફસાયા

May 13, 2024

યમુનોત્રી  : ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા શરુ થઈ ગઈ છે. દેશભરમાંથી ભક્તો ચાર ધામની યાત્રા કરવા ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત યમુનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે. જોના કારણે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી છે. આ ઉપરાંત રસ્તા પર વાહનોની લાંબી કતાર લાગી છે. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી શ્રદ્ધાળુઓ પણ ફસાયા હોવાનું કહેવાય છે.

ઉત્તરાખંડમાં અક્ષય તૃતીયા (Akshaya Tritiya) એટલે કે અખાત્રીજના દિવસે  કેદારનાથ ધામની સાથે યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા હતા. ત્યારબાદ હજારો ભક્તો અહીં પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે કારણ કે ક્ષમતા કરતા વધુ શ્રદ્ધાળુઓ આવવાના કારણે લોકોના જીવ પર જોખમ વધી ગયું છે. યમુનોત્રીમાં રાજકોટ, અમદાવાદના લોકો ફસાયા હોવાનું કહેવાય છે. હાલ યમુનોત્રીમાં ભક્તોની ભારે ભીડ થઈ હતી. એવામાં પોલીસે લોકોને હાલ યમુનોત્રી ન આવવા અપીલ કરી છે. 

યમુનોત્રી ધામ યાત્રા શરૂ થયા બાદ જે તસવીરો સામે આવી રહી છે તે ભયાનક છે. જેમાં યમુનોત્રી ધામ યાત્રાધામમાં જ હજારો ભક્તો જોવા મળે છે. કેટલાક 100 મીટરનો ચાલવાનો માર્ગ જ બ્લોક થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે યમુનોત્રી ધામમાં દર્શન કરવા માટે ઉમટી રહેલી શ્રદ્ધાળુઓની ભીડને કારણે લગભગ પાંચથી છ કિલોમીટરના ચાલવાના માર્ગ કે જે ખૂબ જ સાંકડો છે ત્યાં અકસ્માતનો ભય રહે છે.