પ્રયાગરાજના મહાકુંભ વિસ્તારમાં ભીષણ આગની દુર્ઘટના, આગનું કારણ અકબંધ

April 19, 2025

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના મહાકુંભ વિસ્તારમાં ભીષણ આગની દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. પ્રયાગરાજના મહાકુંભ વિસ્તારમાં શાસ્ત્રી બ્રિજ પાસેના લલ્લજુ ટેન્ટ હાઉસના સ્ટોર રૂમમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની. પરેડ ગ્રાઉન્ડમાં લલ્લુજી ટેન્ટ હાઉસનો સ્ટોર આવેલો છે અને ત્યાં મોટી માત્રામાં વાંસની લાકડીઓ, તંબુઓ અને અન્ય સામગ્રી રાખવામાં આવી હતી. વાંસની લાકડીઓના લીધે સામાન્ય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.

લલ્લુજી ટેન્ટ હાઉસમાં આગ લાગવાની માહિતી મળતાં જ ફાયરબ્રિગેડની ગાડીઓ બનાવસ્થળ પર પંહોચી ગઈ. ફાયરફાયટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો કરવામાં આવ્યો છે. ટેન્ટ હાઉસમાં વાંસની સામગ્રીના કારણે આગ એટલી ભીષણ બની કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહાકુંભ વિસ્તારમાં સંગમ ક્ષેત્રમાં લાગેલ ભીષણ આગને પગલે અધિકારીઓ પણ દોડતા થયા છે.

હાલમાં આગનું લાગવાનું કારણ જાણવા મળ્યું નથી તેમજ આગમાં કેટલો માલસામાનને નુકસાન થયું અને કેટલી સામગ્રી બળીને રાખ થઈ ગઈ તે પણ જાણી શકાયું નથી. અધિકારીઓની એક ટીમ ઘટના સ્થળ પર પંહોચી અને ફાયરફાયટરો દ્વારા રાહત કાર્ય ચાલી રહ્યું છે. આગ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.