ગુજરાતમાં ઈન્ફ્લૂએન્ઝાનો ખતરો વધ્યો, કોરોના કરતાં વધારે મૃત્યુદર

November 21, 2025

લાંબા સમયથી ગુજરાતમાં સવારે 7 થી બપોરે 3 સુધીના તાપમાનમાં જબરદસ્ત વધારો થાય છે અને એ જ ઝડપે ઘટાડો થાય છે. આ તીવ્ર વધઘટના પગલે તેમજ શહેરમાં હવા પણ પ્રદૂષિત રહેતી હોવાથી સરકારી ચોપડે જેને હવે સ્વાઇનફ્લૂ નહીં પણ સિઝનલ ઈન્ફ્લૂએન્ઝા કહે છે અને તબીબી ભાષામાં H1N1 કહે છે આ ફ્લુના કેસોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. વિષાણુને અનુકૂળ હવામાનથી આ કેસ વધુ ઝડપે પ્રસરવાનું જોખમ છે. ફ્લુ એટલે હળવાશથી લેવા જેવી શરદી રહી નથી. કારણ કે, તેમાં કુલ કન્ફર્મ કેસો સામે મૃત્યુનો દર કોરોના કરતા પણ વધારે રહે છે. 


ગુજરાતમાં કોરોના પહેલા 2019માં ઈન્ફ્લૂએન્ઝાના 4844 કેસો નોંધાયા હતા તેમાં 151ના મોત નિપજ્યા હતા. આ વર્ષે દેશમાં 28,798 કેસો પૈકી 1218ના મૃત્યુ નોંધાયા હતા. 2021થી 2023 દરમિયાન કોરોના કાળમાં કેસો ઘટ્યા પરંતુ, ગત વર્ષ 2024થી ફરી ઉછાળો આવ્યો છે, ગુજરાતમાં 1711 કેસો અને 55 મૃત્યુ જ્યારે દેશમાં 20,414 કેસો અને 347ના મૃત્યુ નોંધાયા હતા.

દેશમાં સૌથી વધુ કેસો ફ્લૂના ફેલાવો ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ છે. કર્ણાટક, કેરળ, દિલ્હી, મહારાષ્ટ્ર તમિલનાડુ પછી છઠ્ઠા ક્રમે ગુજરાત આવે છે જેમાં કુલ કેસોના 8 ટકાથી વધુ કેસો નોંધાય છે. ચાલુ વર્ષ 2025માં જૂન સુધીમાં ગુજરાતમાં 56 કેસો સહિત દેશમાં 2400 કેસો છે પરંતુ, આ સમય (જાન્યુ.થી જૂન) કરતા ચોમાસા પછી હાલ ઓક્ટોબર-નવેમ્બરનો મિશ્રૠતુનો સમય આ રોગ માટે વઘુ જોખમી હોય છે. 
ચિંતાજનક બાબત એ છે કે દેશમાં કોરોનાના કુલ 4.50 કરોડ કેસોમાં 5,33,847 મોત નોંધાયા હતા અર્થાત્‌ કેસ સામે મૃત્યુનો દર 1.18 ટકા હતો. જ્યારે ફ્લુના કેસોની સાપેક્ષે મૃત્યુનું પ્રમાણ 1.70 ટકા અને ગુજરાતમાં તો 3 ટકા જેટલું ઊંચુ છે. વળી, ફ્લુ એ કોરોના જેવો જ અતિ સંક્રામક રોગ છે જેને દેશી ભાષામાં ઘરમાં કે ઓફિસમાં એકને શરદી થઈ એટલે બીજાને થાય તેમ કહે છે.