'કેમિકલયુક્ત દારૂ પીવા કરતાં મહુડાનો દારૂ બનાવીને પીવો..' ભરૂચના સાંસદ મનસુખ વસાવાની વિવાદિત સલાહ

June 05, 2026

નબળા બાંધકામનો સમગ્ર દોષ 'નરેગા' યોજના પર ઢોળ્યો

ભરૂચ- ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે 'આદર્શ ગ્રામવિકાસ સમિતિ'ની પ્રથમ બેઠકમાં આપેલા નિવેદનોથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદો અને સ્થાનિક પ્રશ્નો અંગે સાંસદે ખુલ્લીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જેમાં આદિવાસી સમાજને મહુડાનો પરંપરાગત દારૂ બનાવીને પીવાનું વિવાદિત સૂચન પણ કર્યું હતું. હાલમાં ઢોલાર ગામના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનમાં ઉદ્ઘાટન પહેલા જ મોટી તિરાડો પડી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ બેઠક દરમિયાન સાંસદે આ મુદ્દે સ્પષ્ટતા કરતા નબળા બાંધકામનો સમગ્ર દોષ 'નરેગા' (NREGA) યોજના પર ઢોળી દીધો હતો.

જો કે તેમણે ગ્રામજનોને આશ્વાસન આપતા ખાતરી આપી હતી કે તેઓ આનાથી પણ સારું અને નવું મકાન બનાવી આપશે. બેઠક દરમિયાન મનસુખ વસાવાએ આદિવાસી વિસ્તારોમાં કેમિકલવાળો દારૂ ઘુસાડતા બુટલેગરો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, બુટલેગરો મોટા કન્ટેનરો ભરીને દારૂ લાવે છે અને આદિવાસી યુવાનોને બરબાદ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે એક આશ્ચર્યજનક સલાહ આપતા જણાવ્યું કે, 'બુટલેગરોનો કેમિકલયુક્ત ઝેરી દારૂ પીવા કરતા, આદિવાસીઓએ ઘરે જાતે મહુડાનો પરંપરાગત દારૂ બનાવીને પીવો જોઈએ.' સાંસદની આ ખુલ્લી સલાહ બાદ સમગ્ર પંથકમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.