રાજકોટના ડેડરવામાં હડકાયા શ્વાનનો આતંક, 15થી વધુ લોકોને બચકા ભર્યા

October 12, 2025

રાજકોટ : જેતપુર તાલુકાના ડેડરવા ગામમાં છેલ્લા કેટલાક સમયથી હડકાયા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ ગંભીર ઘટનામાં એક જ હડકાયા શ્વાને એક જ દિવસમાં બાળકો સહિત 15થી વધુ લોકોને બચકાં ભર્યા હોવાનું સામે આવ્યું છે. આ બનાવના કારણે સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાઈ છે અને તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ડેડરવા ગામમાં એક શ્વાન હડકાયું થતાં તેણે આતંક મચાવ્યો હતો. હડકાયા બનેલા આ શ્વાને રસ્તા પર જઈ રહેલા બાળકો અને વડીલો સહિત 15થી વધુ લોકોને નિશાન બનાવીને બચકાં ભર્યા હતા.આ ઘટના બાદ ઈજાગ્રસ્ત બનેલા તમામ ગ્રામજનોને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તો ત્યાં એન્ટી-રેબીઝની સારવાર આપવામાં આવી છે. આ ઘટનાને પગલે ગ્રામજનો એટલા ડરી ગયા છે કે, તેઓ હાલ ઘરની બહાર નીકળતા પણ ફફડી રહ્યા છે.


ગામમાં ફેલાયેલા આતંક વચ્ચે સ્થાનિક લોકોએ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમનો સ્પષ્ટ આરોપ છે કે, ગામમાં શ્વાનનો ત્રાસ વધી રહ્યો હોવા અંગે ગ્રામ પંચાયતને અગાઉ પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતાં, શ્વાનને પકડવા કે તેનું રસીકરણ કરવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.