કેનેડાથી કાઠમંડુ પહોંચ્યો હતો વડોદરાનો પરિવાર પણ પરમિટ ન મળતાં ત્યાં જ અટવાઈ ગયો

August 27, 2026

 કૈલાસ માનસરોવરની યાત્રા માટે ચાઈના સરકારે આ વર્ષે જે NRI ગુજરાતી પરિવારોને વિઝા આપ્યા હતા, તેમાંથી કેટલાક પરિવારો યાત્રાએ જવા રવાના થયા હતા. જેમાં વડોદરાના ભીખાભાઈ પટેલ, મધુભાઈ પટેલ, મીમીષાબેન પટેલ અને કલ્પનાબેન પટેલ નામના ચાર યાત્રિકો કેનેડાથી વિમાન માર્ગે સીધા કાઠમંડુ પહોંચ્યા હતા. આ યાત્રિકો કેરૂમ બોર્ડર થઈ આગળ વધવાના હતા, પરંતુ ચાઈના સરકાર તરફથી પરમિટ (મંજૂરી) ન મળવાને કારણે તેમને કાઠમંડુમાં જ રોકાઈ જવાની ફરજ પડી હતી. ચાઈના સરકાર મંજૂરી આપશે તેવી આશા સાથે ત્યાં અટવાયેલા આ તમામ યાત્રિકો કાઠમંડુમાં સલામત છે, પરંતુ નેટવર્કની ભારે મુશ્કેલીના કારણે હાલ તેમનો સંપર્ક થઈ શકતો નથી.

કેરૂમ નજીક સર્જાયેલી આ ભયાનક જળ હોનારત બાદ વર્ષ 1996માં બનેલી આવી જ એક ઘટના તાજી થઈ છે. રાજકોટના યાત્રિક અને આયોજક ડૉ. યશવંત ગોસ્વામીએ એ સમયનો કિસ્સો યાદ કરતા જણાવ્યું હતું કે, 'તે સમયે મને સરકારી પરમિટ મળી ગઈ હતી અને હું યાત્રાએ જવાનો જ હતો. પરંતુ તે જ સમયે ગુજરાત સરકારે મને અમરનાથ યાત્રિકોના સંયોજક તરીકેની જવાબદારી સોંપતા મારે કૈલાસ માનસરોવર જવાનું મુલત્વી રાખવું પડ્યું હતું. આ અણધાર્યા નિર્ણયના કારણે હું તે સમયે સર્જાયેલી મોટી હોનારતમાંથી બચી ગયો હતો.'

આ વખતની યાત્રામાં ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ કૈલાસ માનસરોવર માટે રવાના થયા છે. કેરૂમ બોર્ડર નજીક વાદળ ફાટવાને લીધે થયેલા જળપ્રલય અને પૂરની દુર્ઘટનાના સમાચાર વાઇરલ થતાં જ ગુજરાત સ્થિત તમામ યાત્રિકોના પરિવારજનોમાં ભારે ચિંતા અને ફાળ પડી છે.