થાઇરોઇડની સમસ્યાથી દૂર રાખે છે ઉજ્જાયી પ્રાણાયામ

April 15, 2025

ગત સપ્તાહમાં આપણે ગર્ભાવસ્થા દરમિયાન મોર્નિંગ સિકનેસના કારણે થતી સમસ્યા અને એના નિવારણ માટે કરવામાં આવતા પ્રાણાયામ વિશે વાત કરી હતી. ગત સપ્તાહમાં આપણે બે પ્રાણાયામ વિશે વાત કરી હતી, આજે બીજાં પ્રાણાયામ વિશે વાત કરીએ, જે ગર્ભાવસ્થા દરમિયાન થતી મોર્નિંગ સિકનેસથી રાહત આપશે અને સ્ત્રીઓ એ સમયે અત્યંત જરૂરી એવા મોર્નિંગ બ્રેકફાસ્ટને આરામથી કરી શકશે.

ઉદ્નિથ પ્રાણાયામ અને ઓમ ચેન્ટિંગ
ઉદ્નિથ પ્રાણાયામને ઓમ ચેન્ટિંગના નામે પણ ઓળખવામાં આવે છે. ઓમનું ઉચ્ચારણ નાભિમાં પ્રેશર આપીને કરવામાં આવે છે. જ્યારે નાભિમાંથી પ્રેશર આપીને ચેન્ટિંગ કરો ત્યારે એ જગ્યાએ હળવું ખેંચાણ અનુભવાય છે, જે ડાયજેસ્ટિવ સિસ્ટમને મજબૂત બનાવે છે. આ પ્રાણાયામ હોર્મોનલ અસંતુલનને બેલેન્સ કરવાનું કામ કરે છે, ઓક્સિજન લેવલને વધારે છે તેમજ મગજને એકાગ્ર કરવાનું કામ પણ કરે છે. આ પ્રાણાયામ કરવાથી મોર્નિંગ સિકનેસમાં ત્રણથી ચાર દિવસમાં જ રાહત થવાની શરૂઆત થવા માંડે છે. આગળના અંકમાં ભ્રામરી પ્રાણાયામ વિશે જણાવ્યું હતું. એ પછી ઉદ્નિથ પ્રાણાયામ ખૂબ લાભદાયી નીવડે છે. એ કરવા માટે પહેલાં પદ્માસન કે સુખાસનમાં બેસો. એ પછી લાંબો શ્વાસ લેવો અને એને ધીરે ધીરે છોડો. શ્વાસ છોડતી વેળાએ ઓમનું ઉચ્ચારણ કરો.

ઉજ્જાયી પ્રાણાયામ
ઉજ્જાયી પ્રાણાયામ થાઇરોઇડ ગ્રંથિ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે મોર્નિંગ સિકનેસમાં થાઇરોઇડ ગ્રંથિઓનો મોટો ફાળો હોય છે. એટલે જો ગર્ભાવસ્થા સમયે મોર્નિંગ સિકનેસ થતી હોય તો ઉજ્જાયી પ્રાણાયામ પણ કરવો. તમે ગર્ભાવસ્થા પછી પણ થાઇરોઇડથી દૂર રહેવા માંગતા હોવ તો રોજ આ પ્રાણાયામ કરી શકો છો. એ કરવા સૌપ્રથમ આરામદાયક રીતે બેસી જાવ, પછી લાંબો શ્વાસ લઇ અને છોડો. આ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ગળા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. અનુભવો કે તમે લીધેલો શ્વાસ ગળામાં અનુભવાય છે કે નહીં. શ્વાસ લેતા હોવ ત્યારે ધીમો અવાજ કરો. આ પ્રાણાયામ રોજ સાત મિનિટ કરવો.