અમદાવાદ-સુરત રેલવે સ્ટેશન મુદ્દે કેગ રિપોર્ટમાં ધડાકો : કરોડો રૂપિયાની કમાણી છતાં મુસાફરોને સુવિધાના નામે મીંડુ

August 19, 2026

ભારતીય રેલવે દેશના કરોડો સામાન્ય નાગરિકો માટે જીવનરેખા સમાન છે, પરંતુ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલના તાજેતરના ઓડિટ અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અમૃત સ્ટેશનના મોટા દાવાઓ વચ્ચે રેલવે સ્ટેશનો પર મુસાફરો માટેની મૂળભૂત માળખાકીય સુવિધાઓનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. વાર્ષિક 530 કરોડ રૂપિયાની કમાણી કરી આપતું અમદાવાદ રેલવે સ્ટેશન અને 340 કરોડ રૂપિયાની આવક રળી આપતું સુરત રેલવે સ્ટેશન પણ આ અવ્યવસ્થા અને કુરચનાનો ભોગ બન્યા છે.

કેગના અહેવાલ મુજબ દેશના 512 રેલવે સ્ટેશનોની તપાસ કરવામાં આવી હતી, જેમાં માલૂમ પડ્યું હતું કે 89 ટકા સ્ટેશનો પર પંખા, વોટર કૂલર, શુદ્ધ પીવાનું પાણી, શૌચાલય, બેસવાની વ્યવસ્થા અને શેલ્ટર જેવી પ્રાથમિક સુવિધાઓ જ ઉપલબ્ધ નથી. માત્ર વર્ષ 2019-20માં જ રેલવેને પ્લેટફોર્મ ટિકિટમાંથી 160.87 કરોડ રૂપિયાની આવક થઈ હતી. આટલી માતબર કમાણી છતાં પ્લેટફોર્મ પર મુસાફરોને બેસવા માટે યોગ્ય જગ્યા કે પીવાનું પાણી પણ મળતું નથી.

એક તરફ સામાન્ય મુસાફરો મૂળભૂત સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે, તો બીજી તરફ રેલવે તંત્ર ફાળવેલું બજેટ પણ વાપરી શક્યું નથી. છેલ્લા 5 વર્ષમાં રેલવેને ફાળવવામાં આવેલી કુલ રકમમાંથી 11,478 કરોડ રૂપિયાની રકમ વણવપરાયેલી પડી રહી છે.

બીજી તરફ ટિકિટ કેન્સલેશનના કડક નિયમો લાદીને સરકારે માત્ર 4 વર્ષના ગાળામાં મુસાફરો પાસેથી કેન્સલેશન ચાર્જ પેટે 6,112 કરોડ રૂપિયા વસૂલી લીધા છે. કરોડોની કમાણી છતાં સ્ટેશનો પર સુવિધાના નામે મીંડું હોવાનું કેગના અહેવાલમાં સ્પષ્ટ થયું છે.