'પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને પોતાના દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવામાં નિષ્ણાત છે.' : રાહુલ

April 07, 2025

ગયા અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી હતી, જે બાદ ભારતીય શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ મામલે કોંગ્રેસે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, 'પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને પોતાના દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવામાં નિષ્ણાત છે.'

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે, 'નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને સારા મિત્રો ગણાવે છે તેમાં કોઈ આશ્ચર્ય નથી. બંને પોતાની અર્થવ્યવસ્થાને સ્વ-લાદેલા ઘા આપવામાં નિષ્ણાત છે. ભારતમાં 8 નવેમ્બર, 2016 ના રોજ નોટબંધી હતી. જયારે 2 એપ્રિલ, 2025 ના રોજ વિચિત્ર રેસિપ્રોકલ ટેરિફ લાદેલા છે, હવે બજાર ટેરિફને લઈને પ્રતિક્રિયા આપી રહ્યું છે.' 

ગયા અઠવાડિયે, લોકસભામાં વિપક્ષના નેતા, રાહુલ ગાંધીએ ઝીરો અવર દરમિયાન બોલતા, નરેન્દ્ર મોદી સરકારને ચેતવણી આપી હતી કે ટેરિફ ભારતીય ઉદ્યોગને સંપૂર્ણપણે નાશ કરશે. ટ્રમ્પની ટેરિફ ઘોષણાઓ વચ્ચે સ્થાનિક અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવાના તેના ઈરાદા પર સરકાર પાસેથી જવાબ માગતા રાહુલ ગાંધીએ કહ્યું, 'કોઈએ એકવાર ઈન્દિરા ગાંધીજીને પૂછ્યું હતું કે તમારો વિદેશ નીતિના મામલામાં કોની તરફ ઝુકાવ છે અને ઈન્દિરા ગાંધીજીએ જવાબ આપ્યો, મારી કોઈ તરફ ઝુકાવ નથી, હું તટસ્થ છું.'

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારના બેગુસરાઈમાં બેરોજગારી, મોંઘવારી અને શિક્ષણ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર યુવાનોને જાગૃત કર્યા હતા. અમેરિકન શેરબજારનું ઉદાહરણ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'ત્યાંથી કરોડોનો નફો થયો, પરંતુ સામાન્ય લોકોને તેનો કોઈ લાભ મળ્યો નથી. ભારતમાં પણ આવી જ સ્થિતિ છે. માત્ર અમુક પસંદગીના લોકોને જ આર્થિક લાભ થાય છે.'