2,000 કરોડના ડેરિવેટિવ્ઝ એકાઉન્ટિંગ સંબંધિત ઇન્ડસઇન્ડ બેંક વિરુદ્ધ PMOમાં ફરિયાદ

June 03, 2026

નવી દિલ્હીઃ ઇન્ડસઇન્ડ બેંક ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે બેંક વિરુદ્ધની ફરિયાદ વડાપ્રધાન કાર્યાલય, ભારતીય રિઝર્વ બેંક અને અન્ય નિયામક સંસ્થાઓ સુધી પહોંચી છે. નવી વ્હિસલબ્લોઅર ફરિયાદમાં બેંકમાં કથિત ઇનસાઇડર ટ્રેડિંગ, વહીવટી નિષ્ફળતાઓ તેમજ ફોરેન્સિક અને ઓડિટ તપાસમાં રહેલી ખામીઓની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. 2,000 કરોડના ડેરિવેટિવ્ઝ એકાઉન્ટિંગ સંબંધિત ગેરરીતિઓની તપાસ વચ્ચે આ મામલો વધુ ગંભીર બન્યો છે.

આ ફરિયાદની નકલ સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ, નેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી અને અન્ય એજન્સીઓને પણ મોકલવામાં આવી છે. ફરિયાદમાં ઇન્ડસઇન્ડ બેંકના પૂર્વ ભારતના ભૂતપૂર્વ ઝોનલ હેડ સમીર અગ્રવાલ સામે ઇનસાઇડર ટ્રેડિંગ, નાણાકીય રેકોર્ડમાં હેરાફેરી, માઇક્રોફાઇનાન્સ લોનની એવરગ્રીનિંગ, ઓડિટ અહેવાલોને દબાવી રાખવા અને સિનિયર મેનેજમેન્ટ તથા બોર્ડના સભ્યો દ્વારા ગેરરીતિઓ છુપાવવાના પ્રયાસોના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

ફરિયાદ મુજબ, સમીર અગ્રવાલે પોતાના હોદ્દાનો લાભ લઈને કંપનીની ગુપ્ત માહિતી મેળવી હતી અને પરિવારજનો તથા પરિચિતો મારફતે અંદાજે 816 કરોડના શેરની ખરીદ-વેચાણ કરી હતી. આ ટ્રેડિંગથી તેમને 53 કરોડથી વધુનો ગેરલાભ મળ્યો હોવાનો આરોપ છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમની પત્નીએ એક મોટી ડીલ પૂર્ણ થાય તે પહેલાં જ કેસોરામ ઇન્ડસ્ટ્રીઝના 34 લાખ શેર ખરીદ્યા હતા, જેના કારણે 3.26 કરોડનો ફાયદો થયો હતો.

બીજી તરફ, ઇન્ડસઇન્ડ બેંકે તમામ આરોપોને ફગાવ્યા છે. બેંકના જણાવ્યા અનુસાર, વ્હિસલબ્લોઅર દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓની આંતરિક નીતિ મુજબ યોગ્ય તપાસ કરવામાં આવી છે અને નિયામક સંસ્થાઓના નિયમો અનુસાર જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. બેંકે વધુમાં જણાવ્યું કે કેટલીક બાબતોની જાણકારી તેમણે સ્વયં સંબંધિત અધિકારીઓને આપી હતી અને મામલો તપાસ હેઠળ હોવાથી આ અંગે વધુ ટિપ્પણી કરવામાં આવશે નહીં.