પિત્તશામક અને પાચનશક્તિ વધારનાર : દાડમ

July 30, 2024

મીઠાં દાડમ ત્રણે દોષને હરનાર, તરસ, દાહ અને તાવમાં ફાયદાકારક છે. વળી, એ પિત્તશામક હોઈ, પિત્ત પ્રકૃતિવાળા માણસોને પણ માફક આવે છે. આ મીઠાં દાડમ વાયુ પ્રકૃતિવાળા માટે ઉત્તમ છે. મીઠાં દાડમ બળ અને બુદ્ધિ વધારે છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે દાડમમાં દસથી પંદર ટકા જેટલી શર્કરા હોય છે. લાલ દાડમમાં લોહતત્ત્વ વધારે હોય છે.

દાડમની છાલ પાચનશક્તિ વધારનાર ને ગ્રાહી છે. જૂના મરડામાં લવિંગ સાથે ઉકાળીને તે આપવાથી બીજા ઉપચારો કરતાં તે વધારે ગુણ આપે છે. દાડમના દાણા અને દાણાનો રસ પેટની પીડાનો નાશ કરનાર છે. તેના ફૂલ ગ્રાહી છે. દાડમના દાણામાંથી બનાવેલ શરબત રુચિકર અને પિત્તશામક છે. દાડમ ખાવાથી શરીરમાં એક પ્રકારની ચેતના-સ્ફૂર્તિ આવે છે.

દોષ

  • ખટમધુર દાડમ જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર, તૂરા રસવાળા, મળનું શોષણ કરનાર છે.
  • આહારમાં ઉપયોગ વખતે લેવાની કાળજી
  • મીઠાં દાડમ ત્રિદોષને અને ખાટાં દાડમ વાયુ તથા કફને હણે છે, તે ધ્યાને લઈ તેનું સેવન કરવું હિતકારી છે.

ઔષધીય ગુણ

  • દાડમનો રસ, સિંધવ અને મધ એકત્ર કરી ચાટવાથી અરુચિ મટે છે.
  • પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો ઊઘડે છે.
  • દાડમનાં ફળ, છાલ ચોખાના ઓસામણમાં આપવાથી પ્રદર રોગમાં ફાયદો થાય છે.
  • દાડમની છાલનો ટુકડો મોંમાં રાખી તેનો રસ ચૂસવાથી ખરેચી (ઉધરસ) મટે છે.
  • ખટમીઠાં દાડમના દાણા ખાવાથી સગર્ભાનું હૃદય અને શરીર કમજોર રહેતું હોય તો તેમાં સુધારો થાય છે અને સગર્ભાની નબળાઈ દૂર થાય છે.