IPL 2026: 'મને ક્યારેય T20નો બેટર ન ગણવામાં આવ્યો..', કેએલ રાહુલનું દર્દ છલકાયું

May 06, 2026

IPL 2026 સિઝનની મેચ ચાલી રહી છે, ત્યારે સ્ટ્રાઈક રેટ અને એપ્રોચ પરની ટીકાને લઈને દિલ્હી કેપિટલ્સના ઓપનર કેએલ રાહુલનું દર્દ છલકાયું છે. રાહુલે કહ્યું કે, 'કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં મને ક્યારેય એક મજબૂત T20 બેટર તરીકે જોવામાં આવ્યા નથી. મને ખુશી છે કે મે વ્હાઈટ-બોલ રમતને લઈને બનેલી ધારણા બદલી નાખી.' રાહુલ ચાલુ IPL સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. રાહુલે 2022થી ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી, તેમ છતાં તે ODI અને ટેસ્ટ ટીમનો મુખ્ય સભ્ય છે. JioStar શૉ 'સુપરસ્ટાર્સ' માં રાહુલે વ્હાઈટ બોલ ક્રિકેટની પોતાની સફર વિશે જણાવ્યું કે, 'ફક્ત રેડ બોલ બેટર હોવાની છબીથી મુક્ત થવું કેટલું પડકારજનક હતું.' રાહુલે કહ્યું, 'દસ વર્ષ પહેલાં હું T20 ટીમનો ભાગ બનવા માટે કાઈ પણ કરી શક્યો હોત. મને ક્યારેય T20 ખેલાડી તરીકે રેટ કરવામાં આવ્યો ન હતો. કે મને એક સારા વ્હાઈટ બોલ બેટર તરીકે જોવામાં આવ્યો નહોતો. મને ફક્ત ટેસ્ટ ખેલાડી કહેવામાં આવતો હતો.'
કેએલ રાહુલે વધુમાં કહ્યું કે, 'વ્હાઈટ બોલની રમત વિકસાવવી આ સ્તરે પહોંચવું એ મારા માટે ગર્વની વાત છે. મે ભૂલો કરી અને અનેક વસ્તુ સારી કરી શકતો હતો. મારી કારકિર્દીના ઉતાર-ચઢાવ છતાં મે હંમેશા પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે અને મુશ્કેલ સમયમાં પણ સંયમ જાળવી રાખવાનું શીખી લીધું.' રાહુલે જણાવ્યું કે, 'પિતા બનવાથી ક્રિકેટ પ્રત્યેના મારા અભિગમમાં પરિવર્તન આવ્યું અને મે વધુ પડતું વિચારવાનું બંધ કરી દીધું. હું હવે રમત વિશે વધુ પડતું વિચારતો નથી. જ્યારે હું ચાર કે પાંચ કલાક મેદાન પર હોઉં છું ત્યારે હું સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત રાખું છું. હું ફક્ત રમતનો આનંદ માણું છું અને મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું.'