રોહિત-ગિલે યો-યો ટેસ્ટ પાસ કર્યો, બુમરાહ-જિતેશ પણ ફિટનેસના માપદંડ પર ખરા ઊતર્યા

September 01, 2025

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ અને વનડે કેપ્ટન રોહિત શર્મા સહિત ભારતીય ક્રિકેટરોએ બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે આયોજિત પ્રી-સીઝન યો-યો ટેસ્ટ (ફિટનેસ ટેસ્ટ) પાસ કરી છે. શુભમન ગિલ અને તેના સાથી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને જીતેશ શર્મા પણ ફિટનેસ માપદંડ પર ખરા ઉતર્યા છે. પંજાબના આ 25 વર્ષીય બેટર શુભમન ગિલ એશિયા કપ (Asia Cup 2025 T20) T20 ટુર્નામેન્ટ માટે વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ટીમ ટૂંક સમયમાં નવમી સપ્ટેમ્બરથી શરૂ થનારા એશિયા કપ માટે દુબઈ રવાના થશે. શુભમન ગિલ માટે ફિટનેસ ટેસ્ટ ફરજિયાત બન્યો કારણ કે તેને તાવને કારણે દુલીપ ટ્રોફીમાંથી બહાર રહેવું પડ્યું હતું, જ્યાં તેને ઉત્તર ઝોનનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, અને તે છેલ્લા કેટલાક દિવસોથી તેના વતનમાં આરામ કરી રહ્યો હતો. અહેવાલો અનુસાર, સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે કોઈપણ સમસ્યા વિના ટેસ્ટ પાસ કરનારા અન્ય ખેલાડીઓમાં મોહમ્મદ સિરાજ, યશસ્વી જયસ્વાલ, વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ થાય છે. હવે સ્ટાન્ડર્ડ યો-યો ટેસ્ટ ઉપરાંત ફિટનેસ ટેસ્ટ દરમિયાન હાડકાની ઘનતા તપાસવા માટે એક સરળ પદ્ધતિ DXA સ્કેન પણ કરવામાં આવ્યું હતું. જયસ્વાલ અને વોશિંગ્ટન એશિયા કપ માટે સ્ટેન્ડબાય યાદીમાં છે, જ્યારે શાર્દુલ ચોથી સપ્ટેમ્બરથી સેન્ટ્રલ ઝોન સામે દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં વેસ્ટ ઝોનનું નેતૃત્વ કરશે. ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા પછી રોહિત પર કાર્યભાર નથી, પરંતુ આ સિનિયર બેટર નવેમ્બરમાં ODI સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા જાય તેવી શક્યતા છે અને તે પહેલાં તે 30મી સપ્ટેમ્બર, ત્રીજી અને પાંચમી ઓક્ટોબરે કાનપુરમાં ઓસ્ટ્રેલિયા A સામે ભારત A માટે ત્રણ ODI મેચ પણ રમી શકે છે. આ વાતની પુષ્ટિ હજુ બાકી છે પરંતુ રોહિત સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે તાલીમ માટે વધુ દિવસો રોકાવાની શક્યતા છે. એશિયા કપ ટીમના અન્ય સભ્યો જેમ કે અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ અને રિયાન પરાગ (સ્ટેન્ડબાય) પહેલાથી જ પોતપોતાની પ્રાદેશિક ટીમો માટે દુલીપ ટ્રોફી ક્વાર્ટર-ફાઇનલમાં રમી ચૂક્યા છે અને હવે તેમને અલગ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે નહીં. વિકેટકીપર અને બેટર ધ્રુવ જુરેલ, જે સ્ટેન્ડબાય ખેલાડીઓમાં સામેલ છે, તે પીઠની ઇજાને કારણે દુલીપ ટ્રોફી ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર થઈ ગયો હતો અને સેન્ટ્રલ ઝોનના કેપ્ટન હજુ પણ તબીબી ટીમના નિરીક્ષણ હેઠળ છે.