તબલા વાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે અમેરિકામાં નિધન

December 16, 2024

દેશના જાણીતા તબલા વાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે અમેરિકામાં નિધન થયું છે. તેઓ અમેરિકાની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ત્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ઝાકિર હુસૈનના નિધનથી કલા-મનોરંજન જગતથી લઈને રાજકીય ક્ષેત્ર સહિત સમગ્ર દેશમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.

તેમના નિધન પર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું, ઝાકિર હુસૈન જીના તબલા એક વૈશ્વિક ભાષા બોલે છે જે સરહદો, સંસ્કૃતિ અને પેઢીઓથી પર છે. આ ક્લિપ એ વારસાને વ્યાખ્યાયિત કરે છે જેના દ્વારા અમે તેમને યાદ કરીશું અને તેમના યોગદાનની ઉજવણી કરીશું. તેમના ધ્વનિ અને લયના તરંગો હંમેશા અમારા હૃદયમાં ગુંજશે, તેમના પરિવાર, ચાહકો અને પ્રિયજનો માટે મારી સંવેદના.

ઝાકિર હુસૈનના નિધન પર દેશના કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે તેમનું નિધન કલા અને સંગીત જગત માટે અપુરતી ખોટ છે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર અને ચાહકોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!

ઝાકિર હુસૈનના નિધન પર વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લખ્યું, 'મહાન તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન જીના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેમનું નિધન સંગીત જગત માટે એક મોટી ખોટ છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઉસ્તાદ ઝાકિર હુસૈનજીએ પોતાની કલાનો એવો વારસો છોડ્યો છે, જે હંમેશા આપણી યાદોમાં જીવંત રહેશે.