'હાલની રાજનીતિમાં ટિકિટ ફાળવણીમાં જ્ઞાતિનું મહત્ત્વ વધ્યું', ગોરધન ઝડફિયા

March 09, 2025

દિલ્હી - ભાજપના વરિષ્ઠ નેતા ગોરધન ઝડફિયાએ આજે રવિવારે ખેડા જિલ્લાના નડિયાદના વડતાલ ખાતે પ્રજાપતિ સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન ઝડફિયાએ ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈને ચોંકવનારું નિવેદન આપ્યું હતું. જેમાં ટિકિટ ફાળવણી પહેલા જ્ઞાતિને મહત્ત્વ અપાતું હોવાનું ઝડફિયાએ નિવેદન આપ્યું હતું.


ઝડફિયાએ જણાવ્યું હતું કે, 'રાજનીતિમાં જે બદલાવ આવ્યો છે. એક જમાનો હતો, કે કોઈપણ નાની જાતિનો વ્યક્તિ રાજનીતિમાં સર્વોચ્ચ સ્તરે જઈ શકતા હતા. એ એટલા માટે થતું હતું કે, ત્યારે આ જાતિની અંદરની તિવત્રાઓ જનમાનસમાં નહોતી. ગામનો સરપંચમાં ભલે એક જ ખોરડું હોય પણ ગામનું ભલું કરે એ ગામનો સરપંચ... આ માનસિકતા જનમાનસની હતી અને એક ઘર હોય તો પણ સરપંચ હોય. જ્યારે હવે નહી થઈ શકે.' વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 'વિધાનસભા કે લોકસભા, અમે હોય કે કોઈપણ પાર્ટી. ગમે એટલું કહે કે અમે જ્ઞાતિમાં નથી માનતા, પણ જ્યારે ટિકિટ આપવાની વાત થાય ત્યારે આંકડા જોયા વગર રહેતા જ નથી. આ નવી વાસ્તવિકતા છે.'